કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાઇસિકલ અને સિલાઈ મશીન અર્પણ કરાયા

આજરોજ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ જોશીના નેજા હેઠળ અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દાતાઓના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસીકલ અને જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપી આત્મનિર્ભર બનવા માટે મદદ કરવામાં આવી. આ પ્રસંગે સમિતિના કાર્યકર વિશ્રામભાઈ ગઢવી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી એ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને એક ટપાલીની ભૂમિકા ભજવતા હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોની ટપાલ દાતાઓ સુધી પહોંચાડી અને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચી છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બીએસએફના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સમિતિ દ્વારા બોર્ડરના જવાનોની મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છના જાણીતા સાહિત્યકાર અને પુષ્પ નામથી ખ્યાતનામ એવા પબુભાઈ ગઢવી એ પણ આ સેવાકીય કાર્યો બદલ તેમના શબ્દોમાં શુભેચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ વિશ્રામભાઈ ગઢવી દ્વારા જે વતન પ્રેમી દાતાઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો છે તેવા ટ્રાયસિકલના દાતા શ્રી ધીરેન પોપટલાલ નંદુ ગામ બાડા ,હાલે પુના તથા બીજી ટ્રાયસિકલના દાતાશ્રી માતૃશ્રી સુશીલાબેન લક્ષ્મીચંદ દેઢિયા- મેરાવ, હાલે ગાંધીધામ હસ્તે દેવેન લક્ષ્મીચંદ દેઢિયા દુધઈ અને સિલાઈ મશીનના દાતા કંચનબેન કરસનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોધરા તથા બીજા સીલાઈ મશીનના દાતા માતૃશ્રી તુલસીબેન ધીરજલાલ લાલજી શેઠિયા ગામ ભવાનીપર હસ્તે શ્રી ધર્મેન્દ્રભાઈ, શ્રી હરેશભાઈ શેઠિયા, લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ મુંબઈ વગેરે દાતાઓ દ્વારા આ સેવાકીય કાર્યમાં આર્થિક સહયોગ આપી પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે અંધજન મંડળ કેશી.આર.સી.ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા સમગ્ર કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓને આ પ્રવૃત્તિ દ્વારા જે સતત સહયોગ મળી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી અને અરવિંદભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ અંધજન મંડળ ખાતે સતત ચાલતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને આભાર વિધિ રાજુભાઈ પલણ દ્વારા કરવામાં આવી હતી.