આર.બી.એસ.કે. યોજના હેઠળ કુમળા બાળકોની દરકાર લેતી સરકાર

card copy

copy image

કેન્દ્ર અને ગુજરાત સરકારે રાજ્યના બાળકોના આરોગ્યની હંમેશાં ચિંતા કરી છે, કારણ કે આ બાળકો જ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમલી કરાયેલી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અન્વયે દર વર્ષે રાજ્યના સેંકડો બાળકોની આરોગ્ય તપાસ કરી બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓની સમયસર ઓળખ, નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ યોજનાના પરિણામે અનેક બાળકોને ગંભીર બીમારીમાંથી જીવનદાન મળ્યું છે. એવા જ કચ્છ જિલ્લાના ગાંધીધામના રહેવાસી અજયભાઈની લાડકી દીકરી લક્ષ્મીને પણ આ યોજના થકી નવજીવન મળ્યું છે.

કચ્છના ગાંધીધામમાં ખારીરોહર વિસ્તારમાં રહેતાં, સામાન્ય નોકરી કરતાં અજયભાઈ ડાભીને ત્યાં વર્ષ ૨૦૨૩માં લક્ષ્મીનો જન્મ થયો હતો. હસતી રમતી લાડલી દીકરીને કોઈ બીમારી હશે તેવું પરિવાર સ્વપ્નમાં પણ ન વિચારી શકે. ખિલખિલાટ કરતી લક્ષ્મી અચાનક ગુમસુમ રહેવા લાગી,  કુમળા બાળકીના ચહેરા પરની રોનક અચાનક જ નિસ્તેજ બનતાં અજયભાઈ અને અરુણાબેનને ચિંતા થવા લાગી. તેથી બાળકીને કોઈ તકલીફ છે એવું વિચારીને તેઓ બાળકીને હોસ્પિટલે તપાસ માટે લઈ ગયા. પરિવારને એવું હતું કે, બાળકીને કોઈ તકલીફ નહીં હોય પરંતુ દૂર્ભાગ્યે જાણવા મળ્યું કે લાડકી દિકરીને હદયમાં ત્રણ ત્રણ કાણાં હતાં. સામાન્ય પરીવારમાં રહેતાં અજયભાઈને આ ઓપરેશનનો ખર્ચો કેમ કાઢવો તે વિચારોથી રાત-દિવસની ઊંઘ ઊડી ગઈ.  

પરંતુ પરિવાર પર જ્યારે આ મુશ્કેલી આવી ત્યારે સરકારે બાળકીના વાલી બનીને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી તેની સંભાળ લીધી હતી. અજયભાઈ જણાવે છે કે, ગાંધીધામની RBSK ટીમ દ્વારા તેમને મદદ કરવામાં આવી હતી, જેમાં અમને ઘરે આવીને સંદર્ભકાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું. આ કાર્ડ બનાવવા માટે એક રાશન કાર્ડ અને બાળકીનો જન્મ તારીખનો દાખલાની જરૂર પડે છે. આ કાર્ડ થકી મને કોઈપણ પ્રકારનો ખર્ચો જાતે કરવો પડ્યો નથી. મારી દીકરીને હોસ્પિટલ લઈ જવાથી માંડીને દવા, રીપોર્ટસનો ખર્ચો અને એક્સ રે, સોનોગાફી જેવા બધા જ ખર્ચાઓ સામે યોજના થકી ચૂકવવામાં આવ્યા છે.

વધુમાં તેઓ જણાવે છે કે, અહીંની તપાસ બાદ મારી દીકરીને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યાં અમને તારીખ આપવામાં આવી હતી, તે બાદ સીટીસ્કેન કરીને એક અઠવાડીયાના સમય બાદ બાળકીની હ્રદય રોગની બીમારીનું સફળ ઓપરેશન અમદાવાદની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ મારી લક્ષ્મી સ્વસ્થ છે, ફરી હસતી રમતી થઈ છે. અમે દર મહિને તેને ચેકઅપ માટે લઈ જઈએ છીએ. ઘર પરત આવી ગયા બાદ નિયમિત રીતે ગાંધીધામની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ઘરે આવીને ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.

અજયભાઈ અને તેનો પરિવાર સરકારની આ યોજના બદલ ખૂબ આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, આ યોજના થકી સરકાર તેમના જેવા અનેક પરિવારના કુમળા બાળકોને જીવનદાન આપ્યું છે, ખરા અર્થમાં આનંદિત પરિવાર બનાવ્યો છે.  રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ગાંધીધામની ટીમના અને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલના ડોક્ટર્સના હકારાત્મક વલણ બદલ પરિવાર તેમનો પણ આભાર માન્યો હતો.

–     જિજ્ઞા પાણખાણીયા