કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ કર્યો હતો.

મંત્રીશ્રીએ કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી.

સંવેદનશીલ અભિગમ સાથે મંત્રીશ્રીએ અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે.

એક નોંધપાત્ર ઘટનામાં, એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને 52,000 રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી. મંત્રીશ્રીને મળેલી આ રજૂઆત બાદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પરિણામે, માત્ર એક કલાકમાં અરજદારને તેમની ફસાયેલી રકમ પરત મળી ગઈ. આ ઝડપી નિરાકરણ બદલ અરજદારે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો.આ લોકદરબારથી નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ બાબતે ગૃહ રાજ્ય મંત્રીશ્રીની તત્પરતા અને સંવેદનશીલતા સ્પષ્ટ થાય છે, જેનાથી કચ્છના લોકોમાં  વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.