યુજીસી-નેટ મુદ્દે એનટીએ ઘેરાઈ

copy image

ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) માટે વધુ એકવાર મુસીબતની સ્થિતિ સર્જાઈ છે. આ વખતે યુજીસી નેટની 2026ની પરીક્ષા સાથે મામલો જોડાયેલો છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આશ્ચર્યજનક આરોપ છે કે, અંગ્રેજીનાં પેપરમાં 2024નાં પ્રશ્નપત્રના 67 સવાલ ફરીવાર જેમનાતેમ મૂકી દેવાયા છે. માત્ર સવાલ જ નહીં, પરંતુ એ દરેક સવાલના જવાબોના વિકલ્પોનો ક્રમ પણ બદલાયો નથી. આ મામલે એનટીએ સામે ફરિયાદ થઈ છે. સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ વિનીત જિંદલે ફરિયાદ કરતાં આખી ઘટનાને પરીક્ષાની પારદર્શકતા અને પ્રામાણિક્તા પર એક મોટું કલંક લેખાવી હતી. એનટીએના મહાનિર્દેશક પાસે એક ઔપચારિક ફરિયાદ કરતાં જિંદલે એક સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અનેક છાત્રો અને વિષય તજજ્ઞો પાસેથી આ જાણકારી મળી છે. 150માંથી 67 સવાલ સીધા 2024નાં પેપરમાંથી ઉઠાવીને મૂકી દેવાયા છે. આ ઘટના કોઈ સામાન્ય સંજોગથી આગળ વધીને પ્રણાલીગત નિષ્ફળતા તરફ ઈશારો કરે છે તેવું તેમણે જણાવ્યું હતું.