શુદ્ધીકરણ’ વિવાદ સંસદમાં પહોંચ્યો

image

ઉત્તરાખંડના હદ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ `શુદ્ધીકરણ’ થવા અંગે શરૂ થયેલો વિવાદ ગુરુવારે સંસદ સુધી પહોંચ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતાના આરોપ પર હંગામો થઈ ગયો હતો. ચોમાસુ સત્રના અંતિમ દિવસે ખડગેએ આરોપ મૂક્યો હતો કે, જે મંચ પરથી તેમણે આઠમી ઓગસ્ટના જનસભા સંબોધી હતી ત્યાં હવન કરી, શુદ્ધીકરણ કરાયું હતું. બીજી બાજુ રાજ્યસભામાં ગૃહના નેતા જે. પી. નડ્ડાએ ઘટનાને કમનસીબ લેખાવતાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ આવી ગતિવિધિઓનું સમર્થન નથી કરતો. મામલાની તપાસ કરાવાશે. ખડગેએ શુદ્ધીકરણની ઘટનાને ગંભીર મામલો લેખાવતાં સવાલ ઉઠાવતા કહ્યું કે, શું લોકતંત્રમાં આવું થાય છે ? રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ શુદ્ધીકરણના મામલે કાર્યવાહી કરવાની સાથોસાથ દોષીઓની ધરપકડ કરાય તેવી માંગ કરી હતી. કોંગ્રેસના ઈતિહાસમાં બીજા અનુસૂચિત વર્ગના નેતા તરીકે પક્ષનું સુકાન સંભાળનારા ખડગેએ સવાલ કર્યા હતા કે, આપ સંવિધાનની રક્ષા કેવી રીતે કરો છો ? વધુમાં ખડગેએ જણાવ્યું હતું કે, તે વખતે લાખો લોકો ત્યાં મોજૂદ હતા. મેં કોઈ સમુદાય કે ધર્મનું નામ નહોતું લીધું, પરંતુ મારા ભાષણ બાદ ભાજપ કાર્યકરોએ હવન કર્યું હતું, તેવો આરોપ કોંગ્રેસ અધ્યક્ષે મૂક્યો હતો.