કોઈ પણ ભોગે ગુજરાતનું યુવાધન નશાખોરી તરફ ન વળે તે અમારો સંકલ્પ : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા

રાજ્યની દરિયાકાંઠા સહિતની તમામ સરહદો પરથી ચરસ-ગાંજા, દારૂ કે અન્ય કોઇ કેફી દ્રવ્ય ન પ્રવેશે તે માટે ગુજરાત પોલીસ, બીએસએફ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત રીતે સક્રિય કચ્છમાંથી ૮૫૦ જેટલા પેકેટ ચરસનો જથ્થો પકડયો : પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુનાના મૂળ સુધી ચાલી રહેલી તપાસ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે પત્રકારોને સંબોધતા રાજયના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું યુવાધન નશાની આદતે ન ચડો જાય તે માટે રાજ્યમાં સઘન અને કડક ઝુંબેશ ચાલી રહી છે. કોઈ પણ ભોગે ગુજરાતનું યુવાધન નશાખોરી તરફ ન વળે તે અમારો સંકલ્પ છે અને તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ગુજરાતમાં દરિયાઈ સરહદ મારફતે તાજેતરમાં ઘુસાડવામાં આવેલા ચરસના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે આ સંદર્ભે શ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ૧૬૦૦ કિમી લાંબી દરિયાઈ સરહદ છે. રાજ્યની દરિયાકાંઠા સહિતની તમામ સરહદો પરથી ચરસ-ગાંજા, દારૂ કે અન્ય કોઇ પણ પ્રકારના કેફી દ્રવ્ય ન પ્રવેશે તે માટે રાજ્યની મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી અને બીએસએફ સંયુક્ત રીતે સક્રિય રીતે સઘન ચેકીંગ કરી રહી છે. ગુજરાત પોલીસની સતર્કતાને કારણે કચ્છમાંથી ૮૫૦ જેટલા પેકેટ ચરસનો જથ્થો પકડવામાં સફળતા મળી છે ત્યારે આ ગુનામાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુનાના મૂળ સુધી પહોંચવા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના યુવાધનને નશાખોરી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહેલા આવા ગુનેગારોને બિલકુલ છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હજુ પણ એનડીપીએસના કેસો શોધવા માટેની આ પ્રકારની ડ્રાઈવ રાજ્યમાં ચાલુ જ રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.