પૂર્વ અમદાવાદમાં પાનનાં ગલ્લાઓ AMCએ કરાવ્યા બંધ, કાલુપુર હોલસેલ માર્કેટમાં લોકોની જામી ભીડ

          અમદાવાદમાં ફરી એકવાર પાનનાં ગલ્લાંઓ બંધ થશે તેવી દહેશત વેપારીઓમાં જોવા મળી રહી છે. અને તેની પાછળનું કારણ છે કે, એ.એમ.સી.એ આજે જાહેર કરેલો નવો પરિપત્ર. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પાનનાં ગલ્લાં બહાર કોઈ થૂંકતો ઝડપાશે તો ગલ્લાવાળાને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. એટલું જ નહીં, પૂર્વ વિસ્તારમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાનનાં ગલ્લાંઓને બંધ કરાવવામાં આવ્યા હતા. જેને કારણે કાલુપુરના હોલસેલ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

      આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ વિભાગે પૂર્વ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. જેમાં પાનનાં ગલ્લાંની આસપાસ ગંદકીને કારણે સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરાવ્યા હતી. અને લગભગ પૂર્વ વિસ્તારનાં તમામ પાનનાં ગલ્લાંઓ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા. AMC દ્વારા કરવામાં આવેલાં નવા પરિપત્રને લઈને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

           અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ મોટી કાર્યવાહીને લીધે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અને ફરીથી પાનનાં ગલ્લાઓ બંધ થશે તેના ડરથી લોકો કાલુપુર હોલસેલ માર્કેટમાં ઉમટી પડ્યા હતા. અહીં ફરીથી અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ વસ્તુઓ લેવા માટે પડાપડી કરી મૂકી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર