બાગાયતી ખેડૂતો નવા સાધનોની ખરીદી માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત અરજી કરી લાભ મેળવી શકશે

બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬માં કૃષિ યાંત્રિકીકરણની નવી યોજના શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડૂતોને મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં)ની ખરીદી માટે એકમ ખર્ચના ૨૫% અથવા મહત્તમ રૂ. ૭૫૦૦૦, રોટાવેટર (મીની)ની ખરીદી માટે એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૪૦૦૦૦, કલ્ટીવેટર (મીની)ની ખરીદી પર એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૧૦૦૦૦ અને ટ્રેઇલર (મીની)ની ખરીદી માટે એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૪૦૦૦૦ તથા પાણીનું ટેંકર (મીની)ની ખરીદી માટે એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૪૦૦૦૦ની સહાય મળવા પાત્ર રહેશે. મીની ટ્રેક્ટરની ખરીદી સાથે મીની રોટાવેટર, મીની કલ્ટીવેટર સાધનો પૈકી ઓછામાં ઓછા કોઇ એક સાધનની ખરીદી પર આ સહાય મળવાપાત્ર રહેશે. આ સહાયનો લાભ કોઈ પણ લાભાર્થીને ૧૦ વર્ષમાં એક જ વખત મળશે. કૃષિ યાંત્રિકીકરણ યોજના માટે સહાય મેળવવા માટે તા. ૧૮/૦૬/૨૦૨૫ થી તા. ૦૨/૦૭/૨૦૨૫ સુધીમાં આઈ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનિક પુરાવા અપલોડ કરવા કરવાના રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં: ૩૨૦ બીજો માળ, બહુમાળી ભવન, ભુજ- કચ્છનો સંપર્ક કરવો તેમ ભુજ નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.