ભગવાન જગન્નાથની ૧૪૮મી વાર્ષિક રથયાત્રા માટે તૈયારીઓ શરૂ


ભગવાન જગન્નાથની ૧૪૮મી વાર્ષિક રથયાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે, જે ૨૭ જૂને યોજાવાની છે. યાત્રા પૂર્વેની સરસપુરમાં ભક્તોએ પરંપરાગત ‘મામેરા દર્શન’ સમારોહમાં ભાગ લીધો, જેમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામને ભેટો, આભૂષણો અને કપડાં અર્પણ કરવામાં આવ્યા.
148મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીના વાઘા તૈયાર થઈ ગયા છે. આ વખતે બનારસી સિલ્ક, વેલ્વેટ-ગજી સિલ્કના વાઘા બનાવાયા છે. દર વર્ષ કરતાં આ વખતના વાઘા અલગ છે, કારણ કે તેનું કાપડ વૃંદાવનથી તૈયાર કરી લવાયું છે, જ્યારે કેરળના કારીગરોએ તેને તૈયાર કર્યા છે. અષાઢી બીજે જરી-કસબના મોરની ડિઝાઈનના વાઘા અને પિતામ્બર, જરકસી ગોટાપત્તીના વાઘા પહેરીને ભગવાન નગરચર્યાએ નીકળશે. ત્રીજના દિવસે જાંબલી રંગના સિલ્કના વાઘા રેશમ અને કસબ વર્કથી તૈયાર કરાયેલા ઓછા વજનવાળા વાઘા ધારણ કરાવાશે. આ વર્ષે ઇન્દ્રવદન ખલાસ દ્વારા વાઘા તૈયાર કરાવવામાં આવ્યા છે. તેમને 10 વર્ષે આ યજમાની મળી છે.