સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ‘વિશ્વ યોગ દિવસ’ લિક્ટનશ્ટાઇન દેશમાં ઊજવાયો


૨૧મી જૂન સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી વિશ્વના ઘણા દેશોએ યોગને અપનાવ્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે, જેને અપનાવીને માણસ જાતિ, ધર્મ, રંગ, લિંગ, ભાષાના ભેદભાવથી ઉપર ઊઠીને પોતાની જાતને સંતુલિત કરી સ્વયંની આધ્યાત્મિક અને સર્વાંગીણ પ્રગતિ કરી શકે છે. હિમાલયીન ધ્યાનયોગ સંસ્કારના સ્થાપક સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હિમાલયમાં ઘણાં વર્ષો સુધી ધ્યાનસાધના કરી છે અને છેલ્લાં ૩૧ વર્ષથી સતત તેઓ હિમાલયનું ગહન જ્ઞાન સમાજમાં વહેંચવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના અથાક પ્રયાસોને કારણે આજે આ ધ્યાન સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને ૭૨થી વધુ દેશોના લોકો આ પદ્ધતિથી ધ્યાન કરી પોતાનો સમગ્ર વિકાસ કરી રહ્યા છે. તાજેતરમાં પૂજ્ય સ્વામીજી જર્મનીની મુલાકાતે છે. આ વર્ષે સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલા લિક્ટનશ્ટાઇનમાં પૂજ્ય સ્વામીજીની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ યોગ દિવસ અંતર્ગત, વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન, સમર્પણ મેડિટેશન, ડ્યુશલેન્ડ સ્ટીફટંગ ગેન્ટેન ટ્રુહાન્ડ એજી દ્વારા યોગ દિવસ નિમિત્તે સાંજે ૪ થી ૭ દરમિયાન લિક્ટનશ્ટાઇનમાં પૂજ્ય સ્વામીજીની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી મ્યાઉ હાયજી એ પૂજ્ય સ્વામીજીને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લોકોએ ભાગ લીધો હતો. પૂજ્ય સ્વામીજીએ તેમના પ્રવચનમાં યોગ, પરમાત્મા, ગુરુ, આત્મધર્મ, ધ્યાન જેવા વિષયો વિશે વિગતવાર માહિતી આપી. તેમણે ઉપસ્થિત લોકોના પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું અને અંતે તેમને ધ્યાનનો અનુભવ પણ કરાવ્યો. કાર્યક્રમ ઊર્જાપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો. લોકો યોગ્ય રીતે ‘યોગ’ને અપનાવે એ માટે પૂજ્ય સ્વામીજી પ્રયાસો કરી રહ્યા છે.