ખેતીમાં અપનાવીએ માઇકોરાઇઝા અને ઉત્પાદન વધારીએ

 ખેડૂતમિત્રોને આ નામ સાંભળતાં જ પ્રશ્ન થતો હશે કે માઇકોરાઇઝા એટલે શું ? આ એક  ગ્રીક શબ્દ છે. “myco” એટલે ફૂગ અને “rhiza” એટલે મુળ આમ માઈકોરાઈઝા એટલે વનસ્પતિનાં મુળની ઉપયોગી ફૂગ કહી શકાય. માઈકોરાઈઝા એ છોડનાં મૂળ અને અમુક ચોક્કસ પ્રકારની ફૂગ વચ્ચેનો પરસ્પર લાભદાયી સંબંધ છે. આ સંબંધમાં ફૂગ છોડનાં મૂળમાં અથવા તેની આસપાસ રહે છે, એટલે કે છોડ માઈકોરાઈઝા ને રહેવા માટે જગ્યા આપે છે અને સાથે સાથે શર્કરા અને અન્ય કાર્બનિક સંયોજનો પૂરા પાડે છે. જેની સામે માઈકોરાઇઝા છોડને પોષક તત્વો ખાસ કરીને ફોસ્ફરસ, નાઈટ્રોજન અને પાણી શોષવામાં મદદ કરે છે. આમ બન્ને એકબીજાને મદદરૂપ થાય એવાં પરસ્પર સબંધ ધરાવે છે.

       માઇકોરાઇઝાને મુખ્યત્વે બે મુખ્ય પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે, જે ફૂગ અને છોડનાં મૂળનાં સંબંધની રચના પર આધારિત છે. જેમાં પહેલું એક્ટોમાઈકોરાઈઝા છે. આ પ્રકારનાં માઈકોરાઈઝા છોડનાં મુળની બહારની સપાટી પર એક પ્રકારનું જાળું બનાવે છે અને મુળના કોષોની વચ્ચે નેટ (Hartig net) નામનું બંધારણ રચે છે. આ પ્રકારનાં માઇકોરાઈઝા સામાન્ય રીતે ઉંચા અને બહુવર્ષાયુ વૃક્ષોમાં જોવા મળે છે. ઉદા. બેઝીડીયોમાઈસેટસ એસ્કોમાઈસેટસ. આ એક્ટોમાઇકોરાઇઝા જમીનમાંથી ફોસ્ફરસ અને નાઈટ્રોજનનું શોષણ વધારે છે. ખાસ કરીને ઠંડાં અને શુષ્ક પ્રદેશ વિસ્તારોમાં આવાં માઈકોરાઇઝા જોવા મળે છે.

                બીજું એન્ડોમાઈકોરાઈઝા છે. એન્ડોમાઈકોરાઈઝા છોડનાં મૂળનાં કોષોની અંદર પ્રવેશ કરે છે અને અર્ભયુલ્સ (arbuscules) અથવા વૈસિકલ્સ જેવી રચનાઓ બનાવે છે. આ સૌથી સામાન્ય પ્રકાર છે અને લગભગ ૮૦ ટકા છોડની પ્રજાતિઓ જેમ કે ઘઉં, મકાઈ, શાકભાજી જેવાં પાકો સાથે સંકળાયેલું હોય છે. ઉદાહરણ તરીકે ગ્લોમેરોમાયકોટા. એન્ડોમાઈકોરાઈઝા ખાસ કરીને જમીનમાં રહેલાં ફોસ્ફરસનું શોષણ વધારે છે અને વનસ્પતિને આપે છે સાથે સાથે પાણીનું પણ શોષણ વધારે છે જેથી ભેજના અછત સામે વનસ્પતિને ઉપયોગી થાય છે.

          ખેતીમાં માઇકોરાઇઝાની ઉપયોગીતા વિશે વાત કરીએ તો માઈકોરાઇઝા જમીનમાં આપવાથી ખેતીમાં ઘણાં ફાયદા થાય છે, જેનાં કારણે તેનો ઉપયોગ આધુનિક અને ટકાઉ ખેતીમાં વધી રહ્યો છે. તેનાં ફાયદાઓ જોઈએ તો માઈકોરાઈઝા ફૂગ જમીનમાં રહેલાં પોષકતત્વો જેવાં કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઝીંક અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વોનું શોષણ વધારે છે. જે છોડને વૃધ્ધિ અને વિકાસમાં મદદરૂપ થાય છે. માઈકોરાઈઝા જમીનની રચનાને સુધારે છે અને કાર્બનિક પદાર્થોનું વિષટન કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે. તે જમીનમાં હવા અને પાણીનું પરિભ્રમણ સુધારે છે, જે છોડનાં વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. માઈકોરાઈઝા જમીનની રચનાને સુધારે છે અને કાર્બનિક પદાર્થોનું વિઘટન કરીને જમીનની ફળદ્રુપતા વધારો કરે છે. માઈકોરાઇઝા છોડની પાણી શોષવાની ક્ષમતા વધારે છે, જે દુષ્કાળની સ્થિતિમાં ફાયદાકારક છે. આમ, દુષ્કાળ અથવા વરસાદની ખેંચ સમયે છોડને પાણીની અછત સામે ટકી રહેવાની તે શક્તિ આપે છે. તે છોડને ગરમી અને ભારે ધાતુઓના તણાવથી બચાવે છે. માઇકોરાઇઝલ ફૂગ જમીનના કણોને જોડી રાખે છે, જેનાથી જમીનનું બંધારણ સુધરે છે અને ધોવાણ ઘટે છે. માઇકોરાઈઝા છોડને મૂળનાં રોગો જેમ કે ફયુઝેરિયમ, ફાયટોહથોરા, પીથીયમ સામે રક્ષણ આપે છે. આમ, એ છોડને રોગ પ્રતિકારક શક્તિ આપે છે.

           માઈકોરાઇઝાનો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટે છે, જેનાથી ખેતી ખર્ચ ઓછો થાય છે અને રાસાયણિક ખાતરથી પર્યાવરણને થતુ નુકસાન અટકે છે. તે જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. જૈવિક ખેતીમાં માઈકોરાઇઝાનો ઉપયોગ વધુ લોકપ્રિય બની રહ્યો છે, કારણ કે તે કુદરતી રીતે છોડની વૃદ્ધિ અને ઉત્પાદન વધારે છે.

        હવે પ્રશ્ન થશે કે માઇકોરાઇઝાનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરવો ? તો માઈકોરાઈઝલ ફુગને બીજનાં વાવેતર પહેલાં બીજ માવજત આપી શકાય.  ફેર રોપણી કરતી સમયે રોપાઓના મૂળને માઈકોરાઈઝાનાં દ્રાવણમાં ડુબાડી શકાય છે. માઇકોરાઇઝલ ફૂગને જમીનમાં જ અથવા દેશી ખાતર કે કોઈપણ પ્રકારનાં ખોળ સાથે મિક્સ કરી જમીનમાં આપી શકાય છે. માઈકોરાઈઝા પાઉડર ને પિયત સાથે આપી શકાય છે. માઇકોરાઈઝા ખેતીમાં એક કુદરતી અને ટકાઉ ઉપાય છે, જે છોડની વૃદ્ધિ, ઉત્પાદન અને પર્યાવરણીય તણાવ સામે રક્ષણ આપે છે. તેનો ઉપયોગ ખાસ કરીને જૈવિક ખેતી, વૃક્ષારોપણ અને ઓછી જમીનમાં વધુ ફાયદાકારક છે. માઈકોરાઈઝાના યોગ્ય ઉપયોગથી ખેડૂતો ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારી શકે છે.

           માઇકોરાઈઝા જમીનમાં રહી અને પોતાનો વિકાસ કરતી હોવાથી બાગાયતી પાકો તથા લાંબાગાળાનાં પાકો જેવાં કે આંબો, ચીકુ, જામફળ, કેળ, શેરડી વગેરેમાં ખુબ જ સારા પરીણામો આપી શકે છે. તેમજ ઘઉં, લસણ, ડુંગળી, કપાસ, બાજરી, જુવાર અને મકાઈ જેવાં પાકોમાં પણ માઇકોરાઇઝા ફુગનાં પરીણામો સારા જોવા મળે છે. મકાઈનો પાક માઇકોરાઈઝા ફુગને ખુબ જ ગમે છે જેથી આ પાકમાં સૌથી ઝડપી તેનો વિકાસ થાય છે જેથી માઇકોરાઇઝા ફુગની વસતિ વધારવા માટે કોઇપણ પાક સાથે મકાઈની છાંટ નાખવી જોઈએ. હાલની પરિસ્થિતિમાં ખેડૂત અન્ય પાકની સાથે મકાઈ વાવવાની બંધ કરી દીધી છે પરંતુ આપણાં વડવાઓ જ્યારે ખેતી કરતાં ત્યારે અન્ય પાકની સાથે મકાઈની છાંટ નાખતાં જેને કારણે માઇકોરાઇઝા ફુગની વસતી જમીનમાં જળવાઈ રહેતી. પ્રાકૃતિક કૃષિમાં એક કરતાં વધારે પાકોનું વાવેતર કરતાં હોય ત્યારે આ ફુગનું પ્રમાણ વધારે જોવા મળે છે.