અંજાર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

અંજાર તાલુકાની વાડા ગામની પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૨૨, વરસાણા પ્રાથમિક શાળા-૧ કેન્દ્ર નંબર ૫૬ તથા વરસાણા પ્રાથમિક શાળા-૨, કેન્દ્ર નંબર-૧૨૩ સને ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટે મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ સંપૂર્ણ અંજાર મામલતદાર કચેરીથી મેળવીને વિગત ભરીને અરજી તા.૩૦/૦૬/૨૦૨૬ના કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી/રૂબરૂ મામલતદાર કચેરી અંજાર ખાતે મોકલી આપવાની રહેશે. તા.૩૦/૦૬/૨૦૨૬ બાદ મળેલી અરજી ધ્યાને લેવામા આવશે નહીં. અરજી કરનાર તમામ ઉમેદવારે તારીખ ૦૬/૦૭/૨૦૨૬ સોમવારના રોજ ૧૨:૩૦ કલાકે સ્થળ મામલતદારશ્રીની ચેમ્બર, મામલતદાર કચેરી અંજાર મધ્યે ઈન્ટરવ્યુ માટે અરજીમાં જણાવેલા અસલ આધારો સાથે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે.

        સ્થાનિક વિધવા ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલી અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. અગાઉ ગેરરીતી સબબ છૂટા કરેલા સંચાલકોને નિમણૂક માટે લાયક ગણવામાં આવશે નહીં. ઉમેદવારી માટેની જરૂરી લાયકાત શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી પાસ રહેશે. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહીં મળે તો તેનાથી નીચે ધોરણ –૭ પાસ સુધીના  ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. તમામ ઉમેદવાર માટે વય ૨૦થી ૬૦ વર્ષની રહેશે.

        અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે. ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.) રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ,  જાતિ અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, એસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબૂકની ઝેરોક્ષ નકલ, તબીબી પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર ( ફોજદારી ગુનો નોંધાયેલો ન હોવા અંગેનું) ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. તેમ મામલતદાર, અંજારની અખબાર યાદીમાં જણાવાયું છે.