પાકિસ્તાનના પંજાબમાં ગુરુદ્વારા સાહિબ પર બુલડોઝર ફરતા વિવાદ: ભારતે આકરી નિંદા કરી તપાસ અને કાર્યવાહીની માગ કરી
copy image

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સ્થાનિક બિઝનેસમેન દ્વારા 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પાડવામાં આવ્યાના અહેવાલો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર શેખુપુરા જિલ્લાના ફરૂખાબાદ સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબનો ભાગ તોડી પાડવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે તેની આકરી નિંદા કરી છે. તેમણે પાકિસ્તાન સરકાર પાસે આ મામલે તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ મુદ્દે વિવાદ વકર્યા બાદ પંજાબ ના અલ્પસંખ્યક બાબતોના મંત્રી રમેશ સિંહ અરોરાએ બુધવારે ‘ગુરુદ્વારા સિંહ સભા’ની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક જીર્ણોદ્ધારની જાહેરાત કરી. અરોરાએ સ્થાનિક શીખ સમુદાયના લોકોની ફરિયાદો પણ સાંભળી હતી. અલ્પસંખ્યક બાબતોના મંત્રી શું બોલ્યા? મીડિયા સાથે વાત કરતા મંત્રી રમેશ સિંહ અરોરાએ જણાવ્યું હતું કે, ‘ઔકાફ વિભાગ દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી પ્રમાણે એક સ્થાનિક બિઝનેસમેને સંબંધિત વિભાગ પાસેથી NOC લીધા વિના જ ગુરુદ્વારાને તોડી પાડ્યું હતું.’ તેમણે કહ્યું કે, ‘મુખ્યમંત્રી મરિયમ નવાઝે સ્પષ્ટ કરી દીધું છે કે, સરકાર લઘુમતીઓના મૂળભૂત અધિકારોની રક્ષા કરવા અને તમામ પરિસ્થિતિઓમાં તેમના પૂજા સ્થાનોને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.’મંત્રીએ ઔકાફ વિભાગને ‘ગુરુદ્વારા સિંહ સભા’ જે જમીન પર આવેલું હતું, તેની માલિકી અને વર્તમાન સ્થિતિની તાત્કાલિક તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રારંભિક માહિતી પ્રમાણે આ મિલકત ઔકાફ વિભાગની જમીન તરીકે નોંધાયેલી ન હોવાના સંકેતો મળ્યા છે. મેં વ્યક્તિગત રીતે આ સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને સંબંધિત અધિકારીઓને વહેલી તકે તથ્યો પર આધારિત અહેવાલ સોંપવા નિર્દેશ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, ‘અમને પાકિસ્તાનના ફર્રુખાબાદમાં આવેલા ઐતિહાસિક 125 વર્ષ જૂના પવિત્ર ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબને તોડી પાડવામાં આવ્યાના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. અમે આ આદરણીય શીખ ધાર્મિક સ્થળ વિરુદ્ધ કરવામાં આવેલી આ અત્યંત નિંદનીય અને જાણી જોઈને કરાયેલી તોડફોડની આકરી નિંદા કરીએ છીએ.’ તેમણે જણાવ્યું કે, ગુરુદ્વારાના હિસ્સાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવા છતાં સ્થાનિક અધિકારીઓ અથવા ‘ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ’ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવી હોવાના અહેવાલો અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ કોઈ એકલી ઘટના નથી. આ પહેલા પણ ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ અને તેમના પવિત્ર ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવાની ઘટનાઓ ચાલુ જ છે.