ગૌતમ અદાણી પર રોકાણકારોનો અતૂટ વિશ્વાસ: AELનો ₹૧૫,000 કરોડનો QIP ઇશ્યૂ છલકાયો

અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ઇન્ક્યુબેટર કંપની, અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL)ના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) ઇશ્યૂએ શેરબજારમાં નવો ઇતિહાસ રચ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે, કંપનીએ આ શેર વેચાણનું કદ પ્રારંભિક ₹ ૧૦,૦૦૦ કરોડથી વધારીને ₹ ૧૫,૦૦૦ કરોડ કરવાનો મોટો નિર્ણય લીધો છે. માર્કેટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઇશ્યૂ અંતર્ગત કંપનીને અંદાજે ₹ ૩૮,૦૦૦ કરોડની જંગી બિડ્સ મળી છે, જે તેના મૂળ ઇશ્યૂ સાઇઝ કરતાં લગભગ ૩.૮ ગણી વધારે છે. અમેરિકામાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીની દેખરેખ વચ્ચે પણ રોકાણકારોએ કંપનીના બિઝનેસ મોડલ અને ભવિષ્યની યોજનાઓ પર મજબૂત ભરોસો દર્શાવ્યો છે. ગુરુવારે લોન્ચ થયેલા આ ઇશ્યૂના માત્ર ૪૮ કલાકની અંદર જ વધેલા ₹ ૧૫,૦૦૦ કરોડ કદ માટે પૂરતી માંગ જોવા મળી હતી. આ માંગનું નેતૃત્વ મુખ્યત્વે લાંબા ગાળાના સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવ્યું હતું, અને ઘણા રોકાણકારો તો ફાળવણી કરતાં પણ મોટી રકમ રોકવા તૈયાર હતા. આ મેગા ઇશ્યૂમાં વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર્સ સામેલ થયા છે, જેમાં કેપિટલ ગ્રૂપ, ગોલ્ડમેન સેક્સ, બ્લેકરોક, બ્લેકસ્ટોન અને નોમુરા જેવા વૈશ્વિક દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ સિવાય સ્થાનિક બજારમાંથી એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, કોટક, આદિત્ય બિરલા સન લાઇફ, એસબીઆઈ અને ટાટા મ્યુચ્યુઅલ ફંડ જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓએ પણ આ શેર વેચાણમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. કંપની દ્વારા આ શેર વેચાણ માટે ₹ ૨,૮૮૩ પ્રતિ શેરની સૂચક કિંમત નક્કી કરવામાં આવી છે. આ કિંમત સેબી (SEBI) ની ફ્લોર પ્રાઇસ ₹ ૩,૦૩૪.૬૮ કરતાં ૫ ટકા અને ૨ જુલાઈના બંધ ભાવ ₹ ૩,૧૭૭.૫૦ કરતાં ૯.૨૭ ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે જણાવ્યું છે કે આ ભંડોળનો ઉપયોગ એરપોર્ટ્સ, એક્સપ્રેસવે, ડેટા સેન્ટર્સ, રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ, પીવીસી, મેટલ્સ અને માઇનિંગ જેવા તેના ઝડપથી વિકસતા ઇન્ક્યુબેશન બિઝનેસના મૂડી ખર્ચ (Capex) ને પહોંચી વળવા, દેવું ચૂકવવા તેમજ વ્યૂહાત્મક જોડાણો માટે કરવામાં આવશે. તાજેતરમાં જ કંપનીએ અબુ ધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સાથે ૧૧.૫ અબજ ડોલરના એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચરની પણ જાહેરાત કરી છે. આ ભંડોળ એકત્રીકરણ પ્રક્રિયાનું સફળ સંચાલન જેફરીઝ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫માં પૂરા થયેલા ₹ ૨૫,૦૦૦ કરોડના રાઇટ્સ ઇશ્યૂ બાદ, અદાણી એન્ટરપ્રાઇઝિસનો આ બીજો સૌથી મોટો સક્સેસફુલ ઇક્વિટી ફંડરેઝિંગ પ્રોગ્રામ છે.