ગાંધીધામમાં ઝઘડાનું મનદુ:ખ રાખી યુવાન પર જીવલેણ હુમલો

maramari

copy image

copy image

ગાંધીધામ શહેરનાં જૂની સુંદરપુરીમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી એક શખ્સે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર શહેરના જૂની સુંદરપુરીમાં રહેનાર ફરિયાદી મિલન ગોવિંદ પાતારિયા ગત તા. 1-7ના ઘરે જઇ રહ્યો હતો  ત્યારે રસ્તામાં જેઠા થાવર, ધનજી પાતારિયા વચ્ચે કૂતરા બાબતે ઝઘડો કરતા હોઇ ફરિયાદી વચ્ચે સમજાવવા ગયો હતો. સમાધાન થતાં ફરિયાદી ઘરે ચાલ્યો ગયો હતો. દરમ્યાન તા. 3-7ના ફરિયાદી પોતાનું વાહન લઇને જઇ રહ્યો હતો, ત્યારે નવીન પાતારિયા અને જયેશ સાધુ રસ્તામાં ઊભા હતા. નવીને રાત્રે કાકા સાથે ઝઘડો કેમ કર્યો હતો, તેમ કહી ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને માર માર્યો હતો. દરમ્યાન ઉમેશ વચ્ચે પડતાં આરોપી નવીને પોતાના વાહનની ડેકીમાંથી છરી કાઢી ફરિયાદી યુવાનના પેટમાં ભોંકી દીધી હતી અને બીજો ઘા કરવા જતાં ફરિયાદીએ આડો હાથ કરતાં અંગૂઠામાં ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.