ત્રણ વર્ષ બાદ ફરી દાઉદ ઈબ્રાહીમના મોતની અફવાએ જોર પકડ્યુ

ત્રણ વર્ષ બાદ ફરી મીડિયામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઈબ્રાહીમનુ મોત થવાની અટકળો સેવાઈ રહી છે. સૂત્રો અનુસાર રિપોર્ટસમાં દાવો કરાયો છે કે કોરોના સંક્રમિત થયા બાદ દાઉદ અને તેની પત્ની મહજબીન ઉર્ફે જુબીના જરીનને કરાચી મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમનુ મોત થયુ હતુ. આ કથિત રિપોર્ટની કોઈએ પુષ્ટિ કરી નથી. જોકે દાઉદના નાના ભાઈ અનીસે શુક્રવારે જ દાઉદના સંક્રમિત હોવાની મીડિયા રિપોર્ટસને ફગાવી દીધી હતી.એવુ નથી કે દાઉદ ઈબ્રાહીમના મોતની ખબર પહેલીવાર આવી છે. ત્રણ વર્ષ પહેલા એટલે કે 2017માં પણ એપ્રિલ મહિનામાં દાઉદના મોતને લઈને આવી જ અફવા ફેલાઈ હતી કે દાઉદને હાર્ટ એટેક આવવાથી તેનું મોત થયુ છે. જોકે મુંબઈ પોલીસ અને બાદમાં દાઉદના નાના ભાઈ છોટા શકીલે આ અટકળોને ફગાવી દીધી હતી.જ્યારે દાઉદને હાર્ટ એટેક આવવાની અને મોત થયુ હોવાની રિપોર્ટસ આવી રહી હતી, ત્યારે જ તે 19 એપ્રિલ 2017એ જાવેદ મિયાંદાદના ઘરે એક પાર્ટીમાં જોવા મળ્યો. મિયાંદાદના પુત્ર જુનેદ અને દાઉદની પુત્રી મહરૂખના વર્ષ 2005માં લગ્ન થયા હતા.જોકે, અંડરવર્લ્ડના જાણકાર અને દાઉદને મળેલા કેટલાક વરિષ્ઠ પત્રકાર એ માને છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેને ઘણી બીમારીઓએ ઘેરી રાખ્યો છે અને તેની તબિયત સારી રહેતી નથી. દાઉદને ગેંગરીન જેવી ખતરનાક બીમારી પણ છે.