19 તારીખથી રાજ્યમાં ભારે વરસાદ પડશે, આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 19 જૂન બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળસપાટી હાલ એટલે કે જૂનની મધ્યમાં 127.70 મીટર થઈ છે. જે આ સીઝનની સહુથી મહત્તમ સપાટી છે ઉપરાંત ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચાલતાં ટર્બાઇનને કારણે આજે પણ 29740 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને કારણે હાલ છ માસ બાદ નર્મદા બંધના રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલહેડ પાવર હાઉસના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે. જેને કારણે કુલ 29187 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આવક અને જાવક સરખી રહેતાં હાલ નર્મદા બંધની જળ સપાટી સ્થિર છે. પરંતુ હાલ જે નર્મદા બંધના જળવિદ્યુત મથકો ચાલે છે તેનાથી સરકારને દરરોજની 17 મિલિયન વીજ યુનિટથી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે. એટલે કે ગઈ સિઝનનાં સારા વરસાદના પગલે ચાલુ સાલે પણ સારો વરસાદ રહેતાં ડેમમાં પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિતથી રહ્યો છે. ગુજરાતને આ વીજઉત્પાદનમાંથી 16 ટકા, મધ્યપ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મળે છે. હાલમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યુસેક પાણી આપવામાં આવે છે.