બોટાદ જિલ્લામાં “૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાના”યોજનાનું લોકાર્પણ કરતાં ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૧૦૮ ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અંતર્ગત બોટાદ જિલ્લામા પહેલાં તબક્કામાં એક મોબાઇલ પશુ દવાખાનાને ફાળવવામાં આવેલ છે જેનું લોકાર્પણ આજે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે પછીના તબક્કામાં કુલ ૯ મોબાઇલ પશુ દવાખાના પણ ફાળવવા આવશે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ દુનિયાભરમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે તેને બચવા માટે આપણે પૂરી કાળજી રાખવી પડશે અને જો આપણે સુરક્ષિત રહીશું તો આપણો પરિવાર સુરક્ષિત રહેશે માટે સરકારશ્રીની સૂચના મુજબ નિયમોનું પાલન કરી જરૂરી અંતર રાખવુ અને મોં ઉપર માસ્ક બાંધી કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. આ કપરા સમયમાં રોહિશાળા ગામના લોકોએ જે રસોડું ઉભું કરી સેવાનું કાર્ય કર્યું હતું તે બદલ તમામ દાતાઓને અને સેવકોને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાની મદદથી પશુઓની સારવાર કરવામાં આવશે તેમાં ગામના લોકોએ પણ પૂરતો સહયોગ આપવાનો રહેશે, દરેક ગામમાં યુવાનોનું ગ્રુપ હોવું જોઈએ અને આ યુવાનોએ સારા વિચારો થકી સેવાના કાર્યો કરવા પડશે સુરતના યુવાનોના ગ્રુપનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમને પણ વૃક્ષારોપણ જેવા કાર્યો થકી બોટાદ શહેરને હરિયાળું બનાવા મદદરૂપ થયા છે તેમજ કાર્યકમ અંતર્ગત મંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

     દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા પ્રથમ તબક્કામાં બોટાદ જિલ્લામાં  સાળંગપુર ખાતે શરૂ કરવામાં આવી જેના અંતર્ગત ૧૯૬૨  ડાયલ કરવાથી વિનામૂલ્ય ગામમાં બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે. 
     પ્રારંભિક તબક્કામાં બોટાદ જિલ્લામાં  પશુદવાખાનાઓ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક પશુ સારવાર ગામ બેઠા આપવામાં આવશે. આગામી  દિવસોમાં બોટાદ જિલ્લામાં બાકીના તાલુકામાં શરૂ કરી પશુઓને ઘેરબેઠા આરોગ્ય સંભાળ આપવામાં આવશે. આકસ્મિક સારવાર માટે ૧૯૬૨ પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭  દરમ્યાન પશુપાલકોને ઘરબેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે.  કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે.
         આ યોજના માટે સરકારશ્રી દ્વારા રૂ. ૮૮ કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરવામાં આવેલ છે.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ. બરવાળા