હિંમતનગરમાં જમીનમાં દાટેલી બાળકીનું સારવાર દરમિયાન 9માં દિવસે કરુણ મોત; ચેપ વધી જતા હૃદય બંધ થયું


થોડા દિવસ પહેલા હિંમતનગરમાં એક કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા હતા જેમાં એક નવજાત બાળકીને તેના જ માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી. જેની સારવાર હિમ્મતનગરમાં ચાલી રહી હતી પરંતુ આજે સારવારના 9માં દિવસે બાળકીનું મોત થયું છે. ઘટનાથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઈ ગયું હતું. આજે રક્ષાબંધન જેવા પવિત્ર દિવસે બાળકીનું મોત થતા અરેરાટી ફેલાઈ છે.
જમીનમાં દાટેલી મળી આવ્યા બાદ હિંમતનગર સિવિલના NSU વિભાગમાં તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેનું વજન એક કિલો હતું અને તે બાળકી સાત મહીનાની હતી. તો તેના શરીરમાં અવયવોનો વિકાસ નહિ થવાથી ચેપનું પ્રમાણ વધુ હતું. તો કમળાની અસર પણ થઇ હતી. તો સારવાર શરૂ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. ત્યારે હિમતનગર સિવિલ હોસ્પીટલના RMO એન.એમ.શાહે જણાવ્યું હતું કે આજે છઠ્ઠા દિવસે નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તે હાલ વેન્ટીલેટર પર છે. તો ચેપનું પ્રમાણ પણ ઓછુ થયું છે, તો કમળાની અસર પણ ઓછી થઇ છે. પરંતુ આજે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.
ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઈ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઈ હતી. ઘટનાને પગલે 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, જ્યાં બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. માસૂમને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી હતી. નવજાત બાળકીના માતા મંજુ બજાણીયા અને પિતા શૈલેષ બજાણીયાને નંદાસણ નજીકથી ઝડપી લીધા બાદ ગાંભોઈના આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ કરાવ્યું હતું. ત્યારબાદ તબીબની સલાહ મુજબ આરોપી માતા મંજુને હિમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. હિંમતનગરના NICUમાં નવજાત બાળકી ઓક્સિજન પર રાખવામાં આવી હતી, તો તેને ઇન્ફેકશન પણ વધુ થઈ ગયુ હતું. ઉપરાંત નવજાત બાળકીની સોનોગ્રાફી કરતાં બાળકીને એક કીડની હોવાનો રીપોર્ટ આવ્યો હતો. ઉપરાંત નવજાત બાળકીના અંદરના અવયવો પર સોજો પણ હતો.