આદિપુર બસ સ્ટેશનમાં ખાનગી રીતે ટિકિટ બુકિંગ ચાલતું હોવાનું સામે આવ્યું


આદિપુર એસ.ટી. સ્ટેશનની અંદર ખાનગી રીતે ટિકિટ બુકિંગ ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે. નિયમાનુસાર, બસ સ્ટેશનની હદમાં કોઈ વ્યક્તિ કે પેઢી ખાનગી રીતે ટિકિટ બુકિંગ કરી ન શકે તેવો નિયમ છે. આ અંગે જવાબદાર ડેપો મેનેજરએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, આદિપુર બસ સ્ટેશનમાં કન્ટ્રોલ રૂમની પાછળ જ આવેલી પાર્સલ ઓફિસમાં ખાનગી રીતે ટિકિટ બુકિંગ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. આ વિશે પૂર્વે પણ બબાલ થયા પછી આવી રીતે કામ કરતા સંચાલકોનું લાયસન્સ રદ્દ કરાયું હતું. જો કે થોડા સમય પછી ફરી પાછું એસ.ટી. તંત્રની ઉપરવટ જઈને ખાનગી રીતે ટિકિટ બુકિંગ કરવાનું શરુ કઋ દેવાયું છે.
તો ક્યારેક, એસ.ટી.ની ટિકિટ રિઝર્વેશન બારી થી વધુ ભીડ આ ગેરકાયદે ચાલતા બુકિંગ સેન્ટર પર જોવા મળતી હોય છે. આ વિશે, આદિપુર એસ.ટી. સ્ટેશનની જવાબદારી સંભાળતા ડેપો મેનેજર જગદીશ ભગોરાના જણાવ્યા મુજબ, આ પાર્સલ ઓફિસ ચલાવતા કોન્ટ્રાકટર પાસે એસ.ટી. ની ટિકિટ બુકિંગ માટેની કાયદેસરની આઇડી છે. પરંતુ નિયમ મુજબ, આ ખાનગી બુકિંગ એસ.ટી. પ્રીમાઇસિસની હદ બહાર કરવાનું હોય છે.
કોઈ પણ વ્યક્તિ એસ.ટી. સ્ટેશનની હદમાં આવી રીતે ખાનગી રીતે પોતાની આઇડી પરથી ટિકિટ બુકિંગ ન કરી શકે. આ અંગે યોગ્ય તપાસ કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ, એસ.ટી. વિભાગની કામગીરી જાણતા લોકોના કહ્યા મુજબ, આ પાર્સલ ઓફિસના કોન્ટ્રાકટર નિયમ તોડવાનો જવાબદાર જણાશે તો માત્ર 1-2 મહિના માટે તેનું લાયસન્સ કે આઇડી રદ્દ કરી દેવામાં આવશે], બાકી થોડા સમય પછી જેમ હતું તેમ જ થઈ રહેશે. ત્યારે, ખાનગી રીતે બુકિંગ કરી ને એસટી ની કામગીરી પર અસર પાડનાર વ્યક્તિ સામે સખત પગલા લેવાનું અનિવાર્ય બન્યું છે તેવું ખુદ એસ.ટી. સાથે જોડાયેલા કર્મચારીઓ કહી રહ્યા છે.