માણાવદરમાં કોર્ટ કમ્પાઉન્ડમાં જ પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયત્ન કરનાર વૃદ્ધનું મૃત્યુ

માણાવદરમાં રહેતાં એક વૃદ્ધને મકાન સસ્તા ભાવમાં આપી દેવાની કોઈ વાત બાબતે ત્રાસ અપાતો હોવાથી છેવટે કંટાળી જઈ આત્મહત્યા નો પ્રયત્ન  કર્યો હતો અને સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં.સારવાર દરમિયાન જ તેમનું મોત થતાં પરિવારજનો માં શોક વ્યાપી ગયો હતો અને પોલીસે 2 ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ તેજ કરી છે.

માણાવદરમાં રહેતાં ગિરીશભાઈ ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઈ ગોહેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર,હરિલાલ કાંતિલાલ કવા અને સુભાષ જેરામભાઈ કુંડચા એ ગિરીશભાઈના પિતા ધીરજલાલને પોતાનું મકાન સસ્તા ભાવે 7 લાખમાં વેચી દેવા દબાણ કર્યું અને માર મારવાની ધમકી અપાઈ હતી.

ઉપરાંત ત્રાસ આપી મરવા મજબુર કર્યા હતા અને ગત 28 જુલાઈના રોજ ધીરજલાલે માણાવદર કોર્ટ કમ્પાઉન્ડમાં જ પેટ્રોલ છાંટી દીવાસળી દઈ આત્મહત્યા નો પ્રયત્ન કર્યો હતો તેમજ ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે લઈ જવાયા હતાં અને અમદાવાદ મધ્યે સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઈ ગયું હતું.પોલીસે 2 ઈસમ સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.