ઘરેલુ હિંસામાં વકીલ પતિને 5500 ભરણ પોષણ પેટે ચૂકવવા આદેશ

લગ્નના એક વર્ષમાં જ પતિ અને સાસરિયાઓએ આપેલા ત્રાસથી કંટાળી પિયર આવી ગયેલી પરિણીતાએ વકીલ પતિ સામે ઘરેલું હિંસાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે પતિને 50 હજારનું વળતર અને માસિક 5500 ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ કર્યો.

બારડોલી સોથાણી ગામે રહેતી પ્રિયંકા (નામ બદલ્યું છે) ના લગ્ન કડોદરા રહેતા વકીલ અનિલ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. જો કે, અનિલ પહેલેથી લગ્નથી નારાજ હોતો. તું ફોન કરીને કેમ હેરાન કરે છે એમ કહીને ગુસ્સો કરતો હતો. સાથે નાની નાની બાબતે ઝઘડો કરીને મારકૂટ પણ કરતો હતો.

આ અંગે સાસરિયાવાળાને કહેતા તેઓ પણ માનસિક ત્રાસ આપતા હતા. આખરે પ્રિયંકા પીયર ચાલી ગઈ અને વકીલ સોનલ શર્મા મારફતે કોર્ટમાં ઘરેલું હિંસાની ફરિયાદ કરી હતી તેમજ ભરણપોષણનો પણ દાવો કર્યા હતો. કોર્ટે પતિને 50 હજારનું વળતર તેમજ ભરણપોષણ પેટે માસિક 5500 ચૂકવવા આદેશ કરી નોંધ્યું હતું કે, ભરણપોષણ સામાજિક, નૈતિક તથા કાયદાની રીતે ફરજ બને છે. પત્ની શિક્ષિત હોય તો પણ ભરણપોષણની દાદથી વંચિત રાખી શકાય નહીં.