જખૌ પાસે ભારતીય માછીમારો પર ફાયરિંગ કરનાર પાક. નેવી દ્વ્રારા અપહરણ પણ કરવામાં આવ્યું હતું

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા સાથે સંકળાયેલ કચ્છની દરિયાઈ સીમામાં રાજ્યના વિવિધ બંદરોના માછીમારો આવતા હોય છે પણ જેમાં કીમતી માછલીઓની લાલચમાં આવી ક્યારેક દરિયાઈ સીમા ઓળંગી જતા હોવાથી પડોશી દુશ્મન દેશ પાકિસ્તાનના હાથે આવી જતા હોય છે. તેવામાં પાકિસ્તાની રેન્જર્સએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે જખૌ પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.

દિવના વણાકબોરીના માછીમાર અમરસીભાઈ માવજીભાઈ બાંમણીયાએ જણાવ્યું કે, તેઓ અને અન્ય ખલાસીઓ તા. 6ના સાંજના 5 વાગ્યે જખૌ બંદરથી 45 નોટિકલ માઇલ દૂર ભારતીય જળ સીમામાં માંગરોળથી માછીમારી માટે નીકળેલ બોટ હરસિદ્ધિ -5 ind-gj-11-mm-3873 વાળી બોટથી ભારતીય જળ સીમામાં માછીમારી કરી કરતાં હતા તે દરમિયાન PMSA બરકત 1060 પાકિસ્તાની નેવી બોટમાં આવેલ અંદાજે 20 થી 25 પાકિસ્તાની જવાન જેના ડ્રેસ કોડ ચિત કબૂતરી ગ્રે જેવા કલરની ડીઝાઈન વાળા હતા તેઓ આવ્યા અને ફરિયાદી સહિત સાહેદોની બોટ પર ફાયરિંગ કરવાની શરૂ કરાયું હતું અને અફરાતફરી દરમ્યાન બોટ સાથે ટક્કર મારી તોડી દરિયાના પાણીમાં ડુબાડી દઈ આશરે 50 લાખ જેટલું નુકશાન કરાયું હતું.

એટલું જ નહિ પાકિસ્તાની નેવીના શખ્સોએ ફરિયાદી અને સાથી ખલાસીઓનું અપહરણ કરી તેને ઢીકાપાટુનો માર મારી પાકિસ્તાની બોટમાં ગોંધી રાખ્યા અને સાહેદ મહેન્દ્ર ભાઈને માથાના ભાગમાં પટ્ટો મારી લોહી કાઢી દીધું હતું. તમામને ઇજા પહોંચતા સારવાર અપાઈ હતી.પાકિસ્તાની નેવીએ ભારતીય માછીમારોને ધમકી આપી હતી તથા વિડિયો ઉતારી ગુનાને અંજામ આપ્યો હતો.ઘટના અંગે જખૌ મરીન પીઆઇ ડી.એસ.ઇશરાણી સમક્ષ IPC કલમ 307,365,427,324,323,506(1),114 મુજબનો ગુનો નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.