અબડાસાના ખાનાય આશ્રમ મધ્યે સૂકા ઘાસચારામાં આગ ભભૂકી ઉઠતાં મોટું નુકસાન

copy image

અબડાસા તાલુકાના ખાનાય સ્થિત આશ્રમના ઘાસચારમાં શુક્રવાર બપોરે અચાનક આગ લાગી ગઈ હતી. જેના લીધે અબોલ પશુઓ માટે એક વર્ષ સુધી ચાલે તેટલો ઘાસચારાનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાના પગલે આશ્રમના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોકે આગની જાણ તંત્રને કરાતા નજીકના અદાણી અને જીમડીસી એકમના ફાયર ફાઇટર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને આગળ વધતા અટકાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘાસચારો બડી જતા મોટું આર્થિક નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આ સંદર્ભે આશ્રમના મહંત મેઘરાજજી દાદાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઘાસચારામાં ઇરાદાપૂર્વક કોઈ અસામાજિક તત્વોએ આગ લગાડી દીધી’ હતી. આ પૂર્વે આશ્રમ સ્થિત રાખેલા ઘીડાઓ પણ નસેડી તત્વો દ્વારા ચોરી કરાયા હતા. આગના લીધે મોટું આર્થિક નુકશાન સહન કરવું પડ્યું છે. અલબત્ત બપોરે લાગેલી આગને કાબુમાં લેવા ખાનગી એકમના બે ફાયર ફાઇટર દ્વારા બનાવ સ્થળે પહોંચી સળગતા ઘાસચારાના જથ્થા પર પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવવાના પ્રયત્નો કરાયા હતા. બનાવની જાણ પોલીસમાં કરાયા પછી ફરિયાદની તજવીજ આશ્રમ સંચાલકો દ્વારા હાથ ધરાશે એવું જાણવા મળ્યું હતું.