આડેસર પાસે ST બસે અડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત નીપજયું

રાપર તાલુકાના આડેસર પાસે ST બસે અડફેટે બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યું હોવાની ફરિયાદ મૃતકના પુત્રએ આડેસર પોલીસ મથકે નોંધાવી હતી. રાપર તાલુકાના માનગઢ ગામના રહેવાસી 21 વર્ષીય મુકેશભાઇ રમેશભાઇ મોતીભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પોતાના પિતા સાથે સાંતલપુરના શાકંબર સોલ્ટમાં નોકરી કરે છે. તેમના 40 વર્ષીય પિતા રમેશભાઇ મોતીભાઇ કોલી તા.12/10 ના રોજ આડેસર પોતાના કામ અર્થે તેમજ માનગઢથી પોતાનું આધારકાર્ડ લેવા માટે સાંતલપુરથી બાઇક લઇ નિકળ્યા હતા.

બપોરે 12:30 વાગ્યે તેઓ આડેસર નજીક આવેલા DM પેટ્રોલપમ્પ તરફ આવતા સર્વિસ રોડ પર પહોંચ્યા ત્યારે ST બસની અડફેટે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પલાંસવા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમણે આડેસર પોલીસ મથકે ST બસના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. PSI બી.જે.રાવલે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ જીવલેણ અકસ્માતને કારણે પરિવારમાં માતમ છવાયો હતો.