ત્રંબૌમાં મુંબઈગરાના બંધ મકાનમાં નિશાચરો ત્રાટકયા
copy image

રાપર તાલુકાના ત્રંબૌ ગામમાં આવેલા મુંબઈગરાના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી 15,800ની મતા ઊઠાવી ગયા હતા. નવા ત્રંબૌમાં રહેનારા ફરિયાદ છેલ્લા 45 વર્ષથી મુંબઈમાં રહી ગાદલાંની દુકાન ચલાવતા હતા. છેલ્લા એકાદ વર્ષથી નિવૃત્ત જીવન ગાળતા હોવાનું બહાર આવ્યું હતું. ત્રંબૌમાં આવેલા તેમના મકાનમાં ગત તા.9/5થી 11/6ના અરસામાં ગમે ત્યારે તસ્કરોએ ખાતર પાડયું હતું. આ મકાનમાં ભાડે રહેતા શખ્સ પોતાના વતન ગયા બાદ પરત આવતાં મકાનમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ બંધ પડેલાં મકાનમાં કોઈ રીતે તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રૂમમાં કબાટમાંથી રોકડ રૂા.10,000 તથા માળિયાં ઉપર રાખેલી વીજ મોટર તેમજ એરકૂલર, પંખો, બાથરૂમમાંથી ગીઝર, નળ, ફુંવારા વગેરે મળીને કુલ રૂા. 15,800ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. પૂર્વ કચ્છમાં વધતા જતા ચોરીના બનાવોથી સ્થાનિક લોકોની સાથે હવે મુંબઈગરાઓમાં પણ ભયની લાગણી પ્રસરી હતી. અત્રે નોંધનીય છે કે, થોડાક દિવસો પેલા પણ ગામમાં એકી સાથે અનેક મુંબઈગરાના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ઘરવખરીની ચોરી કરી ગયાના બનાવ બન્યા સામે આવ્યા હતા.