ગળપાદરમાં બે યુવાનોનો પીછો કર્યા બાદ કાર સળગાવી દીધી
copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં બે યુવાનોનો પીછો કર્યા બાદ તેની કાર સળગાવી દેનાર પાંચ આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે રાહુલ વિનોદ ચૌહાણ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 19/12ના ફરિયાદી મોડીરાત્રે તથા તેના મિત્રો ઓમ સર્કલ નજીક ગાંઠિયા ખાવા માટે ગયેલ હતા જ્યાં આરોપી શખ્સો ત્યાં આવેલ હતા. ફરિયાદી અને અર્જુનનો અગાઉ ઝઘડો થયો હોવાથી તે ગાળો આપવા લાગતાં ફરિયાદી અને તેના મિત્રો ગાડી લઇને ત્યાથી ચાલ્યા ગયા હતા. તે સમયે આરોપી શખ્સોએ તેમનો પીછો કરી આરોપીએ પોતાનું મોપેડ વચ્ચે રાખીને ફરિયાદીને રોકવાની કોશિષ કરી હતી. બાદમાં ફરિયાદીની કાર અન્ય વાહનમાં અથડાઈ હતી. વધુમાં જણાઈ રહ્યું છે કે ફરિયાદી રાહુલનો ભાઇ ત્યાં આવતા આરોપી શખ્સો ત્યાથી ચાલ્યા ગયા હતા ઉપરાંત જતાં જતાં કાર સળગાવી નાખવાની ધમકી આપેલ હતી. કારનો અકસ્માત થયો હોવાથી ફરિયાદીએ પોતાની કાર તે સ્થળે જ મૂકી દીધી હતી. જેથી આ કાર સળગાવી દેવામાં આવેલ હતી. આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.