સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૬૮૦૭ કરોડની જોગવાઇ
સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતાં, બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે.
પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૨ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે ₹૭૧૭ કરોડની જોગવાઇ.
પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹૫૨૦ કરોડની જોગવાઇ.
વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે ₹૧૫ લાખની લોન ૪%ના દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૧૦૦ કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ ૯માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તેમજ આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૨૫ હજાર વિદ્યાર્થિનીઓને અને અનુસૂચિત જાતિની ૧૩,૬૦૦ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઇ.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર રચાયેલ બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૨ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬૦ કરોડની જોગવાઇ.
દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ કુલ ₹૧૭૦ કરોડની જોગવાઇ.
તમામ જાતિ-વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી જુદા જુદા ૧૦ જિલ્લાઓમાં ૯ સમરસ કન્યા અને ૧૧ સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે ₹૮૩ કરોડની જોગવાઇ. જેનાથી અંદાજે વધારાના ૧૩ હજાર કુમાર-કન્યા છાત્રોને લાભ થશે.
ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાના આશરે ૭૦ હજારથી વધુ લાભાર્થીઓ માટે ₹૮૩૧ કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬% વ્યાજ સબસીડી આપવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
વિભાગની આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૧૫૦૦ લાભાર્થીઓને અપાતી મકાન સહાયમાં ₹૫૦ હજારનો વધારો કરવામાં આવે છે. જે માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.