સખીમંડળની બહેનોને કાયદાની સમજ સાથે સખી મંડળમાં જોડાવવાથી થતાં લાભ અંગે માહિતગાર કરાઇ

 કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૦૫ની જાગૃતિ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ દ્વારા નવી દૂધઇ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

સખી મંડળ સાથે જોડાયેલી બહેનો માટે નવી દૂધઈ અંજાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દૂધઈ મહિલા લોક રક્ષકશ્રી શાંતીબેન માતા દ્વારા મહિલાઓને સાયબર સેફટી તેમજ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની સમજ, અંજાર તાલુકાના મિશન મંગલમ તાલુકા લાઈવલીહુડ મેનેજરશ્રી ચેતનાબેન ડોડીયા દ્વારા સખી મંડળ તથા સખી મંડળોમાં જોડાવાથી થતા લાભ તથા જન સંરક્ષણ સંસ્થાના ડાયરેક્ટરશ્રી  બ્રિજેશસિંગ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ભરતભાઈ મકવાણા દ્વારા મહિલાઓને “ ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ -૨૦૦૫” અન્વયે આ કાયદાની જરૂરિયાત તથા ઐતિહાસિક પૂર્વ ભૂમિકા, ઘરેલુ હિંસાની વ્યાખ્યા, ફરિયાદ કોની સામે થઇ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી વગેરે મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં એનાર્ડ ફાઉન્ડેશનના સેન્ટર હેડ શ્રી વિપુલભાઈ ગોસ્વામી, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વિમેનના સ્પેશિયલ ફાઈનાન્સીયલ લીટ્રેસી પૂજાબેન પરમાર, ડેટા એન્ટ્રી ઓપરેટર ક્રિષ્નાબેન ભુડિયા અને એનાર્ડ ફાઉન્ડેશનના રિન્કુબેન મહેતા હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અંતમાં એનાર્ડ ફાઉન્ડેશનના કાર્યકર દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.