જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ
કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, ભુજ તથા મધ્યસ્થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, જાહેરસ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા અંગે મનાઇ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામું સરકારી નોકરીમાં ફરજ ઉપર અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્સા તરીકે પરવાનગીને, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. જાહેરનામાનો અમલ તા.૨૪/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
