જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, જાહેરસ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી સરઘસ કે રેલી કાઢીને આવેદન પત્ર આપવા ઉપર પર મનાઇ ફરમાવવામાં આવી છે.

ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭ (૩) મુજબ કચ્છના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ તા.૨૪/૦૬/૨૦૨૫ સુધીની મુદ્દત માટે કરવાનો રહેશે. અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્‍યક્તિઓ એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઇને આવેદન પત્ર આપવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં ફરજ ઉપર અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર કોઇપણ વ્યક્તિ અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.