ભુજના પિન્કીબેન ડાન્સ, ઝુમ્બા, ગરબા, એરોબિક્સ જેવી મનગમતી પ્રવૃતિથી સાથે જોડાઇને બન્યા મેદસ્વિતા મુક્ત


દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યુ હતું. જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો શુભારંભ કર્યો છે. આજની બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોના કારણે લોકો મેદસ્વિતાનો ભોગ બની રહ્યા છે. બેઠાડુ જીવન, સતત જંકફુડ તથા બહારના ભોજનના સેવન થકી દરેક લોકો મેદસ્વિતાથી બચી શક્યા નથી. સ્વાસ્થ્યની સમસ્યા સાથે મેદસ્વિતાના કારણે યુવાનો અને બાળકોમાં એકાગ્રતા,આત્મવિશ્વાસની ખામી વર્તાય છે તો મહિલાઓ આળસ સાથે નિરસ જીવન જીવતાં દેખાય છે. ત્યારે ભુજના પિન્કીબેન ઉપાધ્યાય અનેક મહિલાઓ માટે મેદસ્વિતાથી મુક્ત થવાની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણારૂપ છે. એક સમયે મેદસ્વિતાનો ભોગ બનેલા પિન્કીબેને ડાન્સ, ગરબા, કસરત અને યોગ જેવી પોતાની મનગમતી પ્રવૃતિ સાથે જોડાઈને પરિણામે ૮ થી ૧૦ કિ.ગ્રા વજન ઘટાડ્યું છે
પિન્કીબેન જણાવે છે કે, એક સમયે પોતાની વ્યસ્ત જીવનશૈલી, ઘર કરી ગયેલી આળસવૃતિ, જંકફુડ ખાવાની આદતના કારણે સમય જતાં મારુ વજન વધતું ગયું. વધતી ઉંમરની સાથે વધુ પડતાં વજનના કારણે થાક લાગવો, ઉંમર કરતા મોટા દેખાવું, થોડી પણ ઉંચાઇ પર ચડવાથી શ્વાસ ચડી જવો, નીચે બેસવામાં સમસ્યા, કમરમાં દુખાવો, ગુસ્સો આવવો ચીડચીડો સ્વભાવ વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઇ હતી. સતત આળસના તેમજ સ્ફૂર્તિના અભાવે શારીરિક અને માનસિક અસ્વસ્થ રહેવા લાગી. તેથી એક દિવસ મે ડાન્સ, ગરબા ક્લાસમાં જવાનું નક્કી કર્યુ. જ્યાં મને એક વાતાવરણ મળ્યુ, મિત્રવર્તુળ મળતાં હસતાં રમતાં, ડાન્સ કરતાં કરતાં મારું વજન ઓછુ કર્યું.
તેઓ જણાવે છે કે, હું છેલ્લા ૫ વર્ષથી ડાન્સ, યોગા, ઝુમ્બા, એરોબિક્સ જેવી ફિઝિકલ એક્ટિવિટીથી જોડાયેલી છું. મ્યુઝિક ડાન્સ ગરબા આપણી મનપસંદ પ્રવૃતિઓ છે તેથી મે પણ આવી અલગ અલગ પ્રવૃતિઓ સાથે જોડાઈને હસતાં રમતાં મારું ૮થી ૧૦ કિલો વજન ઘટાડ્યું છે. આજે નિયમિત રીતે વહેલા ઉઠી કસરત કરવી, જીમ કરવું આ બધુ કરવામાં લોકોને આળસ આવે છે, પરંતુ આપણા શોખની પ્રવૃતિઓ કરીને પણ આપણે મેદસ્વિતા મુક્ત બની શકીએ છીએ. ડાન્સ, યોગા, ઝુમ્બા, એરોબિક્સ જેવી ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાઈને આપણામાં બદલાવ આવે છે. વજન ઓછુ થવાની સાથે જ નિયમિતતા, એકાગ્રતા જળવાઈ છે, હેપી હોરમોન્સ સાથે સ્ફૂર્તિ મળી રહેતા શારીરિક અને માનસિક સ્વસ્થ બનીએ છીએ. આમ યોગ્ય પોષણયુક્ત આહાર, નિયમિત કસરત, મેડીટેશન-પ્રાણાયામ, યોગથી આપણે મેદસ્વિતા મુક્ત બની શકીએ છીએ.
પિન્કીબેન તમામ મહિલાઓ બાળકો તથા યુવાનોને જણાવે છે કે, બદલાતાં આહારના કારણે મોટાભાગના લોકો મેદસ્વિતાનો ભોગ બને છે. ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીને આહારની ખોટી આદતો છોડીને યોગ્ય આહાર સાથે નિયમિત કસરતને અપનાવવી જોઇએ. ગરબા, ડાન્સ, એરોબિક્સ, યોગા, કસરત જેવા વ્યાયામ કરીને ખરા અર્થમાં પોતાના શોખને જીવનમાં ઉતારીને મેદસ્વિતાથી દૂર રહીએ સ્વસ્થ બનીએ. મેદસ્વિતાથી પીડાતા નાગરિકો જાગૃત બનીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ચલાવી મેદસ્વિતા મુક્ત બને તથા ગુજરાત સરકારના “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી હતી.
– જિજ્ઞા પાણખાણીયા