‘કરો યોગ – રહો નિરોગ’ ના સૂત્ર સાથે ફૂલપીર દાદાના પ્રાંગણમાં યોગસત્ર યોજાયુ…

image-140

આજ રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિરોણા ગામમાં “Yoga for One Earth, One Health” તથા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” ના સંદેશ સાથે ભવ્ય યોગસત્ર યોજાયું હતું. આ કાર્યક્રમ શ્રી ફુલપીર દાદાના પટાંગણમાં યોજાયો હતો, જેમાં ગ્રામ પંચાયત તથા અનેક સંસ્થાઓની ભાગીદારી રહી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યોગસત્રમાં એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, પ્રાથમિક કુમાર અને કન્યા શાળા, વેપારી મંડળ, ક્રીડા ભારતી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ગ્રામ અગ્રણીઓ સહભાગી થયા હતા. યોગ બોર્ડ તરફથી આવેલા યોગશિક્ષક શ્રી ગોવિંદભાઈ ભાનુશાલીએ વિવિધ યોગાસન તેમજ શ્વાસ નિયમનરુપ પ્રાણાયામથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રકાશ પાડ્યો હતો.
સત્ર દરમિયાન સરપંચ શ્રી એન.ટી. આહીરે યોગ થી યોગ્ય તેમજ “સર્વે સંતુ નિરામયાઃ” ના પાવન ભાવ સાથે યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવાની અપીલ કરી. ગામના તમામ લોકો – વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો – મોટી સંખ્યામાં ઉમટી યોગસત્રમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી કનૈયાલાલ ભાનુશાલી, હાઈસ્કૂલના આચાર્ય તથા ક્રીડા ભારતી કચ્છના વાલી ડૉ. વી.એમ. ચૌધરી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ ગ્રામ અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી, પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના આચાર્ય કંચનબેન, અબ્દુલભાઇ, એ.બી.જી.પી. કચ્છ સંયોજક તખતસિંહ સોઢા તેમજ શિક્ષક મિત્રોની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
આ યોગ દિવસ નિમિત્તે નિરોણા ગામે યોગના પ્રાચીન વારસાને આધુનિક જીવનમાં ઉતારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોગસત્ર સફળતાપૂર્વક સંપન્ન કર્યુ હતું.
કાર્યક્રમના અંતે આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબે તમામનો યોગમાં જોડાવવા બદલ તમામ સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.