લીમડાનાં પાન અથવા લીંબોળીનાં અર્કના દ્વાવણનો છંટકાવ કરીને પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નિયંત્રણ કરી શકાય
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા ખેડૂતોને મગફળીના પાકમાં આવતા સંકલિત રોગનું યોગ્ય વ્યવસ્થાપન કરી પાકનું રક્ષણ કરવા આવશ્યક પગલાઓ લેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.
જેમાં મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ) અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગનો છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફૂગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી. ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારિત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી, પિયત આપવું જોઈએ. મગફળીમાં થતાં સફેદ ફૂગના નિયંત્રણ માટે પાકના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહીં. વધારે પડતી આંતરખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફૂગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. થડનો કોહવારો અને ડોડવાનો સડો (સ્ટેમ રોટ)ના નિયંત્રણ માટે જો ટ્રાયકોર્ડમાં કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાય તેવું ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ રેડી શકાય છે.
તે ઉપરાંત જો લીમડાનાં તાજા પાનના અથવા લીંબોળીનાં અર્કના ૧ ટકાનાં દ્વાવણનો ૩૦, ૫૦ અને ૭૦ દિવસે એમ છંટકાવ કરવામાં આવે તો પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નિયંત્રણ કરી શકાય છે. મગફળીમાં અગ્રકાલિકાનો સૂકારો રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો જોઈએ. જ્યારે ઊભા પાકમાં મૂળનો સડો થતો અટકાવવા માટે જરૂર હોય ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી આપવું.
મગફળીમાં આફલારોટના વ્યવસ્થાપન માટે ઉભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી. આફલારૂટ રોગના નિયંત્રણ માટે કાપણીની અવસ્થાએ જો ભેજની ઉણપ હોય તો છેલ્લા ૨૦-૨૫ દિવસ હળવું પિયત આપવાથી તેની સામે રક્ષણ મેળવી શકાય છે. મગફળીના ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સૂકવીને ભેજમુક્ત જગ્યાએ તેનો સંગ્રહ કરવો આવશ્યક છે. પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય ત્યારે કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલા રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરિયાત અનુસાર ઉપયોગ કરવો. આ જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવાનું રહેશે. તેમજ વધુ માહિતી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવો તેવુ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે.