હોર્મુઝ ખાડી પર અમેરિકી નાકાબંધીથી ભારત તેમજ ચીનને નુકસાન

copy image

copy image

 પાકિસ્તાનની ભૂમિ પર શાંતિવાર્તા નિષ્ફળ નીવડયા પછી અમેરિકા અને ઇરાન વચ્ચે પાછી યુદ્ધની આગ ફાટી નીકળે તેવાં અમંગળ એંધાણ મળી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહંકારી અને વર્ચસ્વવાદી વલણની પ્રતીતિ કરાવતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને પહેલા ધમકી આપી હતી અને તરત તેનો અમલ કરતાં સોમવારની સાંજે સાડા સાત વાગ્યાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધી શરૂ કરી દીધી હતી. નાકાબંધીનું નુકસાન ભારતને પણ થવાની ભીતિ છે. કારણ કે 15 ભારતીય જહાજ હોર્મુઝમાં અટવાઇ પડયાં છે. ભારત માટે ઊર્જા સંકટનું જોખમ વધ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, કોઇ પણ ઇરાની જહાજ `અમેરિકી નાકાબંધી’ તોડવાની કોશિશ કરશે તો તેને તરત ઉડાવી દેવાશે. ટ્રમ્પની નાકાબંધી બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની આવ-જાવ બંઇ થઇ ગઇ છે. મરીન ટ્રાફિક વેબસાઇટે જારી કરેલા વીડિયોમાં હોર્મુઝ સાવ ખાલી જોવા મળે છે. ઈરાને અમેરિકાની ધમકીનો એટલી જ તાકાતથી જવાબ આપતાં કહ્યું હતું કે, જો ઈરાનનાં કોઈ બંદર ઉપર ખતરો ઊભો થશે તો ખાડીનાં કોઈપણ બંદર સલામત નહીં રહે .  અમેરિકાએ હોર્મુઝની નાકાબંધીનું એલાન કરતાં સૌથી મોટી સમસ્યા ભારત અને ચીનને થઈ શકે એમ છે. ભારતની વાત કરવામાં આવે તો હોર્મુઝ ઉપર નિયંત્રણ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા વધુ ચિંતાજનક તનાવમાં ભારતીય જહાજોની મુશ્કેલીમાં વધારો થયો છે. જહાજ મંત્રાલયના જણાવ્યા મુજબ ફારસની ખાડીમાં હજી પણ 1પ ભારતીય જહાજ અટવાયેલાં છે. આમાં એક એલએનજી, એક ખાલી એલપીજી અને છ ક્રૂડ ઓઈલ ભરેલાં ટેન્કર છે. ત્રણ કન્ટેનર જાહાજ, એક ડ્રેઝર અને એક કેમિકલ કાર્ગો જહાજ પણ આ 1પ અટવાયેલાં જહાજોમાં સામેલ છે. આ જહાજોને હવે ત્યાંથી સુરક્ષિત બહાર લાવવા માટે ભારતીય નૌસેના સતત પ્રયાસરત છે. અત્યાર સુધીમાં 10 ભારતીય જહાજોએ હોર્મુઝ પાર કરી લીધું છે, પણ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે નવી ખેંચતાણમાં અન્ય 1પ જહાજોની સ્થિતિ વિશે ચિંતા ઊભી થઈ છે