લોકશાહીનો અનોખો ઉત્સવ: સુરેન્દ્રનગરની બે સગી બહેનોએ લગ્નના ફેરા ફરતા પૂર્વે મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે લોકશાહીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. વઢવાણ તાલુકાના મકવાણા પરિવારની બે દીકરીઓ, જ્યોતિબેન અને પૂજાબેન, જેમના આજે લગ્ન હતા, તેમણે જીવનના આ મહત્વપૂર્ણ દિવસે લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લાલ ચૂડા અને લગ્નના ભવ્ય પોશાકમાં સજ્જ આ નવવધૂઓએ મતદાન મથક પર આકર્ષણ જમાવ્યું હતું, જેનાથી અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેમણે સમાજને સંદેશ આપ્યો હતો કે, લોકશાહીમાં દરેક મત કિંમતી છે અને કોઈપણ સંજોગોમાં મતદાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે.
દીકરીઓના પિતા ગોવિંદભાઈ મકવાણાએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, આજે મારા ઘરે બે-બે દીકરીઓના લગ્નનો અવસર છે, પરંતુ રાષ્ટ્રના હિત અને લોકશાહીના મજબૂતીકરણ માટે મતદાન કરવું એ અમારી નૈતિક ફરજ છે. કન્યાદાન પહેલા મતદાન કરવું એ પરિવાર માટે સૌભાગ્યની વાત હોવાનું જણાવી તેમણે દરેક મતદારને અપીલ કરી હતી કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે કોઈ પણ બાંધછોડ વગર અચૂક મતદાન કરવું જોઈએ.
મકવાણા જ્યોતિબેન અને પૂજાબેને આ તકે જણાવ્યું હતું કે, લગ્ન એ જીવનનો અંગત પ્રસંગ છે, જ્યારે મતદાન એ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી છે. તેમણે નક્કી કર્યું હતું કે લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રના હિત અને શહેરના વિકાસ માટે મતદાન કરવું અનિવાર્ય છે. તેમની આ પહેલને વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. દરેક નાગરિકે કોઈપણ બહાના વગર અચૂક મતદાન કરવું જોઈએ તેવો સંદેશ આ બંને બહેનોએ આપ્યો હતો.
આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે, જ્યારે નાગરિકોમાં મતાધિકાર પ્રત્યે આટલી જાગૃતિ હોય, ત્યારે લોકશાહીના મૂળિયાં વધુ મજબૂત બને છે. મકવાણા પરિવારની આ પહેલે અનેક યુવા મતદારોને ઘરની બહાર નીકળી મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.