આજરોજ કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા નાગરિકલક્ષી પ્રશ્નોને પ્રાથમિકતા આપીને ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સૂચના આપીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠકમાં ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ, યોગ્ય રજૂઆત અને જરૂરિયાત મુજબ જ સ્કૂલોમાં નવા વર્ગખંડોનું નિર્માણ, ખેડૂતોની જમીન શ્રી સરકાર થવાનો પ્રશ્ન, ભુજ શહેરમાં જાહેર હેતુ માટે જમીન ફાળવણી, પ્રિ-મોન્સુન કામગીરી વગેરે બાબતોના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ખેડૂત તરીકે વારસાઈ એન્ટ્રી અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ, નખત્રાણા ખાતે ટાઉનહોલ નિર્માણ કામની પ્રગતિ, દયાપર ખાતે સરકારી કોલેજ માટે જમીન સંપાદન, નખત્રાણામાં છારી ફૂલાય, બીબર, તલ લૈયારી અને જાબરી ડેમ નિર્માણની દરખાસ્ત અને પ્રગતિ, ઘાવડા ગામના ગુમ રેકર્ડની ખરાઈ અને પ્રમોલગેશન કામગીરી, નખત્રાણા બાયપાસ નિર્માણ કાર્યની પ્રગતિ, ગજણસર અને આમારા ગામ પંચાયત રેકર્ડ, ભુજ ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેકર્ડ માટે નિયમિત સ્ટાફની ફાળવણી, નખત્રાણામાં લીફરી ફાટકથી નવાવાસ લક્ષ્મીપર રોડનો પ્રશ્ન, ગામડાઓમાં રમત ગમત મેદાન ફાળવણીની જોગવાઈઓ, અબડાસાના ખુઅડા ગામે નવા વીજવાયરો પ્રસ્થાપિત કરવા, અબડાસા તાલુકામાં ખેડૂતોને વીજ મીટર કનેક્શનની વિના વિલંબે ફાળવણી, લીંબારા ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાનું કામ, લગ્ન સર્ટિફિકેટમાં સરકારી સિક્કાઓનું પ્રમાણીકરણ, ગામડાઓમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે આર્થિક જોગવાઈ, અબડાસા વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સ અને નારાયણ સરોવર કોટેશ્વર ખાતે ૨૪ કલાક એમ્બ્યુલન્સની ફાળવણી, રામવાડા અને અબડા યાત્રાધામના વિકાસનું કામ, યક્ષ મંદિરનો વિકાસ, કુવા અને ગટર નિર્માણના કાર્યો અને અમલીકરણ વિભાગો, ભુજ નખત્રાણા ફોરલેન માર્ગની કામગીરી માટે જમીન સંપાદન, નખત્રાણાના ઝાલુ ગામે હાઈકોર્ટના આદેશનું અમલીકરણ, અબડાસા સહિત સરહદી વિસ્તારોમાં યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થા, પાણીની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન દૂર કરવા, ચોમાસા પૂર્વે પશુ રોગચાળા નિવારણ માટે દવા અને રસીની ઉપલબ્ધતા, બિયારણનું વાવણી પહેલા ખેડૂતોને વિતરણ, ઘાસચારાનું રાહત ભાવે વિતરણ અને બાજરી સહિત પેદાશોની ટેકાના ભાવે ખરીદી વગેરે પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત કરી હતી.
ધારાસભ્યશ્રીઓએ રજૂ કરેલા પ્રજાકીય પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગત મેળવીને નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયાએ નાગરિકોને કોઈ જ અગવડતા ન પડે તે રીતે ઝડપથી નિરાકરણ લાવવા સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ નાગરિકોને સ્પર્શતા મહત્વના પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સ્થળ વિઝિટ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, જ્યાં પણ રાજ્ય સરકારના મંજૂરીઓની જરૂરિયાત હોય એવા કિસ્સાઓમાં ત્વરિત સરકારમાં દરખાસ્ત મોકલીને કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, અધિક કલેક્ટરશ્રી પી.એલ.વિઠાણી, ભુજ આરટીઓ ઈન્સ્પેક્ટરશ્રી અનીલ ગોસ્વામી સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.