કેનેડા જઈને વસેલા ભારતીયોને મોટો ઝટકો: પેરેન્ટ્સ સ્પોન્સરશિપ વિઝા પર સરકારે લગાવી રોક!

કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’માં નવા અરજી ફોર્મ લેવાની પ્રક્રિયા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. ઇમિગ્રેશન વિભાગ ના બતાવ્યા અનુસાર, હવે આગામી આદેશ સુધી નવા ‘ઇન્ટરેસ્ટ ટુસ્પોન્સર’ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. મળતી માહિતી મુજબ કેનેડાના આ ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામમાં હંમેશા ઉપલબ્ધ બેઠકો કરતાં અરજીઓની સંખ્યા ઘણી વધારે રહેતી હોય છે. વર્ષ 2020માં જ્યારે છેલ્લીવાર નવા ફોર્મ મંગાવાયા હતા, ત્યારે સરકારને રેકોર્ડબ્રેક 2,03,213 અરજીઓ મળી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે તે જૂની અરજીઓમાંથી જ રેન્ડમલી (લોટરી સિસ્ટમ દ્વારા) ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હતી. હાલમાં પણ આ પ્રોગ્રામ હેઠળ 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કામગીરી ઝડપથી ઉકેલવા અને દેશમાં ચાલી રહેલી હાઉસિંગ કટોકટી તેમજ જાહેર સુવિધાઓ પરનું દબાણ ઘટાડવા સરકારે નવી એન્ટ્રીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જૂના અરજદારો પ્રક્રિયામાં રહેશે, 2026 નો ટાર્ગેટ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલાથી જ પોતાની ફાઇલ સબમિટ કરી દીધી છે, તેમની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષ 2026 માં આ પ્રોગ્રામ હેઠળ 15,000 લોકોને કેનેડાના PR આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેનેડા સરકાર ઇમિગ્રન્ટ્સની સંખ્યા નિયંત્રિત કરવા માટે સતત કડક પગલાં લઈ રહી છે અને PGP પરનો આ પ્રતિબંધ પણ તે જ રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. હવે કયો વિકલ્પ બચ્યો? ‘સુપર વિઝા’ મદદરૂપ બનશે નવા નિયમો બાદ જેઓ પોતાના પરિવારને કેનેડા બોલાવવા માંગે છે, તેમને સરકારે ‘સુપર વિઝા’ (Super Visa) નો વિકલ્પ પસંદ કરવા સલાહ આપી છે. સુપર વિઝાના નિયમો જો કે થોડા કડક છે. આ વિઝા હેઠળ માતા-પિતા કે દાદા-દાદી એકસાથે સળંગ 5 વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે. આ વિઝાની કુલ વેલિડિટી (માન્યતા) 10 વર્ષ સુધીની હોય છે.
અરજદારે ફરજિયાતપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો પડે છે. કેનેડામાં રહેતા સ્પોન્સરે તમામ આર્થિક જવાબદારી ઉઠાવવાની રહેશે અને લઘુત્તમ આવક ની શરત પૂરી કરવી પડશે.