બિહાર, મધ્યપ્રદેશનાં મંદિરોમાં ભાગદોડ લોહિયાળ બની
: શ્રાવણ માસમાં આખા દેશનાં શિવમંદિરો ભક્ત સમુદાયનાં ઘોડાપૂરથી છલકાઈ રહ્યાં છે, ત્યારે `શિવભક્તિ’ના મહિનાના પહેલા સોમવારે બિહારનાં અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ ભાગદોડમાં સાત ભક્તોનાં કરુણ મોત નિપજ્યાં હતાં, આ અંગે મળતી માહિતી મુજબ લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી હતી. આઠથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડાયા છે. તબીબોના કહ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી અનુસાર , આ ઘટના અશોકધામ રેલવે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. રવિવારે રાત્રે આ માર્ગ પર વીજળીનો એક થાંભલો વાયર સાથે નીચે પડી ગયો હતો. સોમવારે સવારે મંદિરમાં જળાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડિયાઓ અને શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. આ દરમિયાન પડી ગયેલા વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા શ્રદ્ધાળુઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. આ અફવાને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા. નાસભાગ દરમિયાન નાસભાગ સર્જાઈ હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતાં જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.તેમજ બીજી તરફ, ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસર સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડનાં કારણે છ શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા, જેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હરસિદ્ધિ મંદિર સામે પણ બેરિકેડિંગના ક્ષેત્રમાં ભીડનું દબાણ વધતાં અંદાજિત 13 વ્યક્તિની તબિયત બગડી હતી. મહાકાલ મંદિર પરિસરમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરમાં સોમવારે દર્શન માટેની કતારમાં વીજ કરંટ ફેલાવાની અફવા બાદ ભાગદોડ મચી હતી. આ દરમિયાન નીલકંઠ દ્વારે છ શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા, જ્યારે હરસિદ્ધિ માતાજી મંદિર પાસે 13ની તબિયત બગડી હતી.