ન્યૂયોર્કમાં તિરંગાનું અપમાન, ભડક્યા મંત્રી

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમ બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય તિરંગાનું અપમાન કરાયું હતું. આ શરમજનક ઘટના પર કેન્દ્રીયમંત્રી કિરન રિજ્જુએ સખત વાંધો ઉઠાવતાં ઉપદ્રવીઓને કડક ચેતવણી આપી છે કે, સરકારની ટીકા સ્વીકાર્ય છે, પરંતુ તિરંગા અને ભારતનું અપમાન કરનારાઓને આ ભૂલ ખૂબ ભારે પડશે. ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનના ઇન્ફોસિસ થિયેટરમાં `યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હતું. આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન `શીખ ફોર જસ્ટિસ’ સાથે જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એક દેખાવકાર તિરંગાને પગ સાથે બાંધીને પોઝ આપતો અને અન્ય પ્રદર્શનકારીઓ રાષ્ટ્રધ્વજને ફાડતા કેમેરામાં કેદ થયા હતા.