કચ્છ જિલ્લાના ૬ નગરપાલિકા વિસ્તારોમાં તા.૧૪/૪/૨૦૨૦ સુધી ટુ વ્હીલર/ફોર વ્હીલર વાહનો ઉપર પ્રવાસ કરવા પર પ્રતિબંધ

નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. આ બાબત અત્રેથી જાહેરનામા અન્વયે તા.૩૦/૩/૨૦૨૦ના જાહેરનામા અન્વયે કેટલક નિયંત્રણ મૂકવામાં આવેલ છે. તેમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી રહયા હોવાના કારણે કોરોના વાયરસના સંક્રમણને નકારી શકાય નહીં. જેથી આવા બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતાં લોકોને અટકાવવા અને લોકડાઉનની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા કચ્છ જિલ્લા મેજોસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૪), ૪૩ તથા નેશનલ ડિઝાસ્ટર એકટની કલમ-૩૪ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરાયા છે જે અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી નગરપાલિકા વિસ્તારમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો ઉપર પ્રવાસ કરવા ઉપર આગામી તા.૧૪/૪/૨૦૨૦ સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. જાહેરનામા અન્વયે આવશ્યક ચીજવસ્તુઓ લેવા જવા માટે સવારે ૭ થી ૧૧ અને સાંજે પ થી ૭ કલાકના સમયગાળા માટે મૂકિત આપવામાં આવે છે. જે અન્વયે આ સમયગાળા દરમ્યાન ટુ વ્હીલરમાં એક જ વ્યકિત અને ફોર વ્હીલરમાં ડ્રાઇવર સહિત ત્રણથી વધુ વ્યકિત પ્રવાસ કરી શકશે નહીં. આ હુકમ અન્વયે સરકારી ફરજ હોય તેવી વ્યકિતઓ (પરંતુ તેઓએ તેમના ખાતા/વિભાગ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર સાથે રાખવાના રહેશે.), આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ /વિતરણ કરતી વ્યકિતઓ કે જેને સક્ષમ અધિકારી દ્વારા પાસ આપવામાં આવેલ હોય તેવી વ્યકિતઓ તેમજ સરકાર તરફથી મુકત રાખેલ માલવાહક વાહનોને, મેડીકલ ઈમરજન્સીમાં (મેડીકલને લગતાં તાજેતરના કેસપેપર્સ સાથે રાખવાના રહેશે.), અને આવશ્યક ચીજવસ્તુ વેચાણ કરતી દુકાનો માટે ઉપર જણાવેલ સમયગાળો લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.