ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણની પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની, બન્ને જાણ ગળેફાંસો ખાઈ જીવ ગુમાવ્યો

થોડાક મહિનાઓ પહેલા સુરતના વેવાઈ-વેવાણની પ્રેમકહાનીએ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે ફરી એકવાર સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણની કહાની સામે આવી છે. ખેડબ્રહ્માની આ ઘટનામાં વેવાઈ- વેવાણે સાથે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે. વડાલીના વેવાઈ વેવાણે દિધીયા ગામે જઈ આપઘાત કરતા વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. ચારેબાજુ હાલ આ ઘટનાની જોરદાર ચર્ચાઓ થઈ રહી છે.

ખેડબ્રહ્માના વડાલી ગામના વેવાઈ-વેવાણે દિધીયા ગામે જઈને ગામની સીમમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો ભેગા થયા હતા અને તેમને પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ખેડબ્રહ્મા પોલીસે આ ઘટનામાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ અને વેવાણે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક જ દોરડાથી બન્ને જણાંએ સાથે ગળેફાંસો ખાધા હતા. ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, વડાલીના થેરાસણા ગામના બંને વેવાણ-વેવાઈ દિધીયા ગામમાં મજૂરી કામ સાથે કરતા હતા. ત્યારે કયા કારણોસર બન્ને જણાંએ ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે આત્મહત્યા કરી તેને લઈને અટકળોનો દોર શરૂ થયો છે.

ખેડબ્રહ્મા પોલીસ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી. અને તેમને ઘટનાની માહિતી મેળવીને વેવાઈ-વેવાણે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ આપ્યું છે. પરંતુ સાચું કારણ શું હોઈ શકે તેની જાણ થઈ નથી. હાલ ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. પોલીસે બંને મૃતદેહોને ઝાડ પરથી ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડ્યા છે. હાલ તો જ્યાં સુધી ઘટનાની ગુંથ્થી ના ઉકેલાય ત્યાં સુધી ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.