રાજકોટમાં કોરોનાને નાથવા સુરતનું મોડેલ અપનાવાશે, રાજયનાં અગ્રસચિવ ડો.જયંતિ રવિ

રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ ભયજનક સ્થિતિએ પહોંચી રહ્યું છે. એક સમયે અમદાવાદ અને સુરતમાં કોરોના મોતનું તાંડવ કરી રહ્યો હતો તેજ રીતે રાજકોટમાં પણ કોરોના બિહામણુ સ્વરૂપ ધારણ કરતા મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં અને અમદાવાદમાં ભયજનક કોરોના પર કાબુ મેળવ્યા બાદ તેનું મોડેલ અપનાવી રાજકોટની સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવું રાજયનાં અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું.રાજકોટમાં કોરોના સંક્રમણની સંખ્યાની સાથે સાથે કોરોનામાં મોતના આંકડાઓ સતત વધી રહ્યા છે. દરરોજના ૧૦ થી વધુ મોત નોંધાતા પરિસ્થિતિ બેકાબુ બની હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ બાદ રાજકોટનો ડેથસ્પોટ બની રહ્યું હોય તેમ લાગતા રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતી રવિ રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજરોજ પત્રકાર પરીષદમાં તેમને સુરતની પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ રાજકોટમાં પણ તેનું મોડેલ અપનાવી કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવશે અને રાજકોટની કોવિડ હોસ્પિટલોને ૧૦૦ જેટલા વેન્ટીલેટરો પણ ફાળવવામાં આવ્યા છે સાથે કોરોના પોઝીટીવ દર્દીઓને લુંટતા ખાનગી હોસ્પિટલોને પણ ગાઈડલાઈન મુજબ ફી લેવાનું જણાવ્યું છે.
વધુમાં આરોગ્ય સચિવે જણાવ્યુ હતું કે, ગાંધીનગર અગ્રસચિવની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોર ટીમ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો જે કોરોનાના દર્દીઓને સારવાર આપી રહી છે ત્યાં એકાદ અઠવાડિયુ રોકાઈને તમામ પરિસ્થિતિનો તાગ મેળવશે. એટલું જ નહીં વધતા જતા મૃત્યુ અને પોઝીટીવ કેસની રીકવરી સુધી પહોંચાડવા માટે પણ કેવા પગલા લેવા જોઈએ તેના વિશે સ્થાનિક તબીબો અને કોરોનાની સારવારમાં જોડાયેલા તમામ સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. ગઈકાલ રાતથી જ કોર કમિટીની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે અને આજરોજ સવારથી સિવિલ હોસ્પિટલનાં તબીબો સાથે સંકલન કરી પોતાની કાર્યવિધિ શરૂ કરી છે.
તાજેતરમાં જ રાજકોટની ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓને લુંટવાનો કિસ્સો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો હતો જે અંગે અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં રાજય સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ફિ વસુલ કરવામાં આવશે અને જો કોઈપણ ખાનગી હોસ્પિટલો ગાઈડલાઈનથી વધુ ફી દર્દીઓ પાસે ઉઘરાવશે તો તેના વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ લોકોને જો ખાનગી હોસ્પિટલ વધુ ચાર્જ વસુલ કરતા હોય તેવું લાગે તો ઈ-મેઈલ અને હેલ્પલાઈન નંબર દ્વારા તંત્રને જાણ કરી શકે છે. કોરોના માટે ૧૦૪ હેલ્પલાઈન નંબર પ્રકાશિત કરવામાં આવ્યો છે પરંતુ તેની કાર્યવાહી ખુબ ઢીલી હોવાની અનેક ફરિયાદો તંત્રને મળતા ૧૦૪ હેલ્પલાઈનના સ્ટાફને સુચનો આપવામાં આવ્યા છે કે કોઈપણ વ્યકિતના કોલ બાદ જરૂર પડે તો એક જ કલાકની અંદર જે-તે સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
રાજકોટની પરિસ્થિતિ બેકાબુ બનતા રાજય આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ અને રાજય સરકારના સિનિયર તબીબોની ટીમ રાજકોટ આવી પહોંચી છે. રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતના કેસો અને મોતની સંખ્યા સતત વધતી રહે છે. ગઈકાલે રાજકોટ શહેરી વિસ્તારમાં ૮૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે આજ બપોર સુધી વધુ ૪૪ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા છે. જયારે ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીઓએ વાયરસને મ્હાત આપી ઘરવાપસી કરી છે. ગઈકાલે તંત્ર દ્વારા વધુ ૧૪૧૧ કોરોના સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૫.૮૮ ટકા પોઝીટીવ રેશીયો નોંધાયો છે. આજરોજ વધુ ૪૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શહેરી વિસ્તારના કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૧૮૩ ઉપર પહોંચી છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૩૬ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાતા કુલ આંક ૧૫૨૭ ઉપર પહોંચ્યો છે.