અમરેલી જિલ્લાના રાજુલા-ડુંગર રોડ પર આવેલ રેલવે ફાટક બંધ રહેતા 108 ફસાઈ જતા દર્દીનું મોત નિપજ્યું હતું


રાજુલા-ડુંગર રોડ પર આવેલ રેલવે ફાટક બંધ રહેવાને કારણે 108 એમ્બ્યુલન્સ ફસાઈ જતા દર્દીનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે. અને રેલવે ફાટક ના ખુલતા ૨૦ મિનિટ એમ્બ્યુલન્સ અટવાઇ ગઇ હતી. અને રેલવેના કર્મચારીઓ દ્વારા માલગાડી પસાર ના થાય ત્યાં સુધી ફાટક બંધ રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ અકસ્માતમાં ઘાયલ દર્દીનું મોત નીપજયું હતું. જાણવાં મળતી માહિતી મુજબ , રાજુલા તાલુકાના દેવકા ગામે છકડો રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા સવાર ૬ વ્યક્તિને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડ (ઉ.વ. ૫૫)ની ગંભીર હાલત જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન રાજુલા ડુંગર રોડ પર આવેલી ફાટક બંધ હોવાનાં કારણે ૨૦ મિનિટ સુધી રેલવેના કર્મચારીઓ દ્વારા માલગાડી પસારના થાય ત્યાં સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવી હતી.
રાજુલા તાલુકા પંચાયતનાં પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર, તથા હડમતીયા ગામનાં સરપંચ રાણીંગભાઈ પીંજર, સહિતના ગામનાં આગેવાનો દ્વારા સતત વિનંતીઓ કરવા છતાં પણ રેલવેના કર્મચારીઓ એ કોઈ પણ ની વાત સાંભળી ન હતી. જેનાં કારણે સમયસર સારવારના મળવાનાં કારણે હડમતીયાના વ્યક્તિ નું મોત નિપજ્યું હતું. અને 108 ઇમરજન્સી સાયરન વાગવા છતાં ફાટક નહિ ખોલતા સ્થાનીક વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. અને રોષ વ્યકત કર્યો. છતાં પણ ફાટક નહિ ખુલતા 108 માં સવાર વ્યક્તિનું મોત થતા વધુ રોષ ફેલાયો હતો. અને રેલવેનાં જવાબદાર કર્મચારીઓ પર ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.અને પીપાવાવ પોર્ટની સેંકડો માલગાડી અહિયાંથી દૈનિક પસાર થાય છે. તેનાં લીધે વારંવાર ૨૦ થી ૩૦ મિનિટ સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. જેનાં કારણે લોકો ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચી નથી શકતા. આથી તંત્ર દ્વારા વહેલી તકે અવરબ્રિજ બનાવવામાં આવે જેથી લોક સમસ્યા હલ થાય તેવી રજૂઆત કરી હતી.રીપોર્ટ બાય :-ધર્મેશ મહેતા રાજુલા.