જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે પ્રધાનમંત્રી દ્વારા સ્વસહાય જુથની બહેનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરની સ્વસહાય જુથોની મહિલાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો હતો. દાહોદ જિલ્લાની સ્વસહાય જુથની મહિલાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ જિલ્લામાં અન્ય સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બની હતી. આ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાની ૭૫ સખી મંડળોને ૧૧.૨૦ લાખનું રિવોલ્વીંગ ફંડ અને ૯૦ સખી મંડળોને ૬૩ લાખનું કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ ફાળવવામાં આવ્યું હતું.
દાહોદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જિલ્લાની સ્વસહાય જુથની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમનાં જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યો હતો. જિલ્લામાં ડીઆરડીએ ઉપરાંત તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુશીતલ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, ડીઆરડીએ નિયામક સી.બી.બલાત સહિતનાં અધિકારીઓ તેમજ સ્વસહાય જુથની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.