નવી દિલ્હીઃ દિલ્હીમાં અસલમાં સત્તા કોની પાસે છે, ઉપરાજ્યપાલ અનિલ બૈજલની પાસે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાસે? આ મુદ્દે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉપરાજ્યપાલ પોતાની મરજીથી નિર્ણય નથી લઇ શકતાં. એટલે કે અધિકારોની લડાઇમાં ચૂંટાયેલી કેજરીવાલ સરકારની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે અધિકારોની લડાઇના મુદ્દે સુનાવણી કરતાં કહ્યું કે, ઉપરાજ્યપાલ મંત્રીઓની સલાહથી જ કામ કરી શકે છે. તેમને પોતાની જાતે નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકારી નથી. કોર્ટે એ પણ કહ્યું કે, દિલ્હીની સ્થિતિ અન્ય રાજ્યોથી અલગ છે.
જોકે, સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલને દિલ્હીના પ્રશાસક બતાવ્યા અને કહ્યું કે, કામકાજમાં કોઇપણ પ્રકારની અડચણ ના આવવી જોઇએ. કોર્ટે કહ્યું કે અરાજકતા માટે કોઇ જગ્યા નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ આ મામલે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો જેમાં પાંચ જજોની બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની સાથે જસ્ટીસ એકે સીકરી, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટીસ અશોક ભૂષણ સામેલ હતાં. અગાઉ આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં હતો, જ્યાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ઝટકો લાગ્યો હતો. દિલ્હી સરકાર સામે ઉપરાજ્યપાલની વચ્ચેના અધિકારોની લડાઇ પર નિર્ણય સંભળાવતા દિલ્હી હાઇકોર્ટે 4 ઓગસ્ટ, 2016એ કહ્યું હતું કે ઉપરાજ્યપાલ જ દિલ્હીના વહીવટી પ્રમુખ છે અને દિલ્હી સરકાર એલજીની મરજી વિના કાયદો નથી બનાવી શકતી. હાઇકોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, એલજી દિલ્હી સરકારના નિર્ણયને માનવા માટે કોઇપણ રીતે બંધાયેલા નથી. તે પોતાના વિવેકના આધારે નિર્ણય લઇ શકે છે. જ્યારે દિલ્હી સરકારને કોઇપણ નોટિફિકેશન જાહેર કરતાં પહેલા એલજીની સહમતી લેવી જ પડશે.