જામનગર શહેરના નવાગામ હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગાડી વાળવા જેવી સામાન્ય બાબતમાં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચ પૈકીના ત્રણ આરોપીઓને સિટી-બી અને એલસીબીએ પકડી પાડી તેમની ઓળખ પરેડ કરવાની કાર્યવાહી હાથ ધરી. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રાત્રિના સમયે ઈકો ગાડી ગલીમાં વાળવા જેવી સામાન્ય બાબતમાં બે મોટર સાયકલ પર આવેલા પાંચઆરોપીએ છરી અને ધોકા વડે રાજેશ જગદીશપ્રસાદ કૌશિક અને તેના ભાઈ પર તૂટી પડતા જીવલેણ ઘા લાગતા રાજેશનું મોત નિપજ્યું. આ બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા. પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી.

તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બે આરોપીઓ કુલદીપસિંહ કિરીટસિંહ ઝાલા (રહે. નવાગામ ઘેડ) અને અર્જુનસિંહ પ્રદીપસિંહ જાડેજા (રહે. ગાયત્રી ચોક) મોખાણાની સીમમાં છૂપાયેલા હોય પોલીસે ત્યાં રેડ કરી બંને આરોપીઓને મોટર સાયકલ સાથે પકડી પાડ્યા હતા.

આ ઉપરાંત એલસીબીને પણ મળેલી બાતમીના આધારે 1 આરોપી મોટી ખાવડીમાં છૂપાયેલો હોવાની બાતમી પરથી રેડ કરી યશપાલસિંહ ઉર્ફે બોસ કનકસિંહ જાડેજા (રહે. બાપુનગર)ને પકડી પાડ્યા. આમ, હત્યાના ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં 3ને ઝડપી પાડ્યા. જ્યારે 2 આરોપીઓ હજુ પોલીસ પક્કડથી બહાર. પકડાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ પરેડ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી.