નેનપૂર હનુમાનજી મંદિર સામે રિક્ષા પલટી ખાઇ જતાં અકસ્માત..

મહેમદાવાદ તાલુકાના નેનપુર બકતા આવાસમાં રહેતા ચતુરભાઇ તડવી પરિવાર સાથે રહે છે. કુણા ગામના બળીયાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જેમાં ચતુરભાઇના પરિવારના વ્યક્તિ, ભત્રીજો નિખિલકુમાર ફળીયામાં રહેતા સનાભાઇની રીક્ષા લઈને ગયા હતા.

દર્શન કરી નેનપૂર ચોકડી આવતા ભીખાભાઇએ કહેલ કે રીક્ષામાં ગેસ ભરાવવા માટે આમસરણ પંપે જવુ પડશે તેમ કહેતા પરિવારના લોકો ઉતરી ગયા હતા અને ભીખાભાઈ અને ભત્રીજો નીખીલકુમાર ગેસ પુરાવા માટે ગયા હતા. ગેસ પૂરાવી પરત આવતા રીક્ષાના ચાલકે રીક્ષાને બ્રેક મારવા જતા રીક્ષા પલ્ટી ખાઈ જતા નિખીલકુમારને શરીરે ઈજા પહોંચી હતી.

આ અંગે 108ને ફોન કરતા ટીમ બનાવ સ્થળે પહોંચતા નિખિલકુમાર તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ચતુરભાઇ નરોતમભાઇ તડવીએ મહેમદાવાદ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી. જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.