સ્મૃતિવન પ્રોજેક્ટના અંતિમ ચરણની કામગીરીમાં ઝડપ ક્યાંય મોટુ સંકટ ન નોતરે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ કરવાનું છે ત્યારે હવે સમય બહુ ઓછો છે અને કામ ખૂબ છે. જેને પહોંચી વળવા માટે રાત-દિવસ અર્થક્વેક મ્યુઝિયમનું કામ ચાલે છે. જીએસડીએમએ હસ્તક આ પ્રકલ્પમાં આખરી તબક્કાની કામગીરીમાં ગુણવત્તા ઝળવાઈ ન હોવાની ઉઠી ફરિયાદ. સ્નેક સ્કલ્પચર તૂટી ગયું હતું જેને પગલે વિધાનસભા અધ્યક્ષ અને કલેકટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા.

માર્ગ મકાન વિભાગ હસ્તકનું બાંધકામ અને રેમ્પની કામગીરી સમાપ્ત થવા પર છે ત્યારે મ્યુઝિયમની અંદરની કામગીરી તથા અન્ય સુશોભનનું કામ દિલ્હીની એજન્સી હસ્તક કરવામાં આવી રહ્યું છે. જે કામમાં એક સ્નેક સ્કલ્પચર ધડાકા સાથે તૂટી ગયું હતું. ત્રણ ટન વજનના આ તોતિંગ સ્ટ્રકચર તકનિકી ઉણપને કારણે વેલ્ડિંગ તૂટી ગયું હતું. સદભાગ્યે કોઈ વ્યક્તિ પર ન પડતાં જાનહાનિ થતાં ટળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના હમણાં થઈ,પરંતુ ભવિષ્યમાં મ્યુઝિયમની શરૂઆત થઈ ગયા પછી બની હોત તો ? ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, કલેકટર સહિતના અધિકારીઓ સ્થળ પર આવી પહોચ્યા હતા.

મ્યુઝિયમ બિલ્ડિંગના સિવિલ અને ઈલેક્ટ્રીકલ લાગતા 107 કરોડના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુઝિયમમાં ડિજિટલ ગેલેરીનું ઉંડાણપૂર્વક અભ્યાસ કરાયો હતો. બાર વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં અનેક તબક્કે કામમાં ઢીલાશ તો ક્યાંક ગ્રાન્ટના અભાવના કારણે કામ બંધ થયું હતું. હવે જ્યારે અતિ મહત્વનું અને અટપટું કામ કાળજી સાથે અને આરામથી થવું જોઈએ ત્યારે ઉતાવળે થાય છે. આ ઉતાવળ નજીકના ભવિષ્યમાં જ નબળી ગુણવત્તાના સ્વરૂપે બહાર આવે તેવું પણ બની શકે.


છેલ્લા એક મહિનાથી સતત ઓછો કે વધુ વરસાદ પડતાં સ્મૃતિવનની કામગીરી પર પણ અસર પડી. મ્યુઝિયમ પર રેમ્પ બનાવવાના કામમાં માટીકામ થાય ત્યારબાદ વરસાદ પડતાં ફરી અડચણ પડે છે. કોન્ટ્રાકટર માટે પણ મુશ્કેલ થઈ ગયું છે. તો બીજી બાજુ વડાપ્રધાન જયાંથી લોકોને સંબોધન કરશે તે સ્થળ કચ્છ યુનિવર્સિટી પાછળ મેદાનમાં નિશ્ચિત થયું છે. આ વિશાળ જગ્યાએ ડોમ બનાવી જો વરસાદ પડે તો લોકો ભેગા કરવાથી લઈને કાર્યક્રમ દરમિયાન કોઈ સંકટ ન આવે તે તંત્ર માટે ચિંતાનો વિષય.