ઠેર-ઠેર રખડતા ઢોર પકડવાની કાર્યવાહી દરમિયાન નગરસેવકની 11 ગાયો પાલિકાના પાંજરે પૂરાઈ

ભુજ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો આયોજન હોવાથી, જયનગરથી છેક ભુજીયાની તળેટી સુધીના માર્ગે છૂટા રખડતા ઢોરો પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન ભુજ નગરપાલિકાના નગરસેવક કશ્યપ ગોરની 11 જેટલી ગાયો પકડાઈ, જેથી અન્ય પશુપાલક અમિતાબેન જેઠી દ્વારા નગરસેવકને પણ દંડ ફટકાર્યા વિના એમની ગાયોને ન છોડવા ચેતવણી આપાઈ હતી . પ્રાપ્ત વિગતો અનુસાર નગરસેવક પશુપાલક છે, દુધના ધંધા સાથે સંકળાયેલા છે. આર.ટી.ઓ. રિલોકેશન સાઈટમાં તેમને ગાયોનો વાડો પણ રાખેલ છે.

એમની 11 જેટલી ગાયો વડાપ્રધાનના રોડ શોના રૂટમાં ફરતી જણાઈ, જેથી રસ્તે રઝળતી ગાયો પકડવાની કામગીરી કરતી નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા નગરસેવકની ગાયોને પકડીને નગરપાલિકાના ઢોરવાડામાં પૂરી દેવાઈ હતી.  ઉપરાંત એ જ વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા અમિતાબેન જેઠીની પણ 3 ગાયો પકડાઈ હતી, જેથી તેમણે નગરપાલિકાને ચેતવણી આપી કે, મારી ગાયોને દંડ ભર્યા વિના મુક્ત કરતા નથી તો નગરસેવકની ગાયોને પણ દંડ ભર્યા વિના મુક્ત કરજો નહિ. નહી તો આગળ ઉપરની કાર્યવાહી કરવા ફરજ પડશે.

જે અંગે સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ઢોર પકડવાની કાર્યવાહી કરાઈ હતી,  જેમના પણ ઢોર પકડાયા છે એમની સામે નીતિ નિયમ અનુસાર કાર્યવાહી કરાશે. બીજી બાજુ પશુપાલક નગરસેવકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હા. મારી ગાયો પકડાઈ છે. પરંતુ, ચોમાસામાં ગાયોને એક જગ્યાએ બાંધી રાખી શકાય નહીં. નહીંતર તેને વિવિધ બીમારીઓ લાગુ પડે તેમજ બીમારીમાં તેનું મોત પણ થઈ શકે, જેથી રેઢી મૂકવી પડે છે.